AnandToday
AnandToday
Sunday, 22 Feb 2026 00:00 am
AnandToday

AnandToday

ચારૂસેટમાં રૂ. 1 કરોડનું માતબર દાન આપનાર દાતા શ્રી મગનભાઈ પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત

‘હેમલતાબેન મગનભાઈ પટેલ મોલેક્યુલર લેબોરેટરી’ સ્થાપવામાં દાતા શ્રી મગનભાઈ પટેલનું યોગદાન

આણંદ ટુડે | ચાંગા

ચારૂસેટ કેમ્પસ માટે રૂ. 1 કરોડનું માતબર દાન આપનાર અને હાલ USA સ્થિત દાતા શ્રી મગનભાઈ પટેલ (પીપળાવ/યુએસએ)ને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 19મી ફેબ્રુઆરીએ, ગુરૂવારે ચારૂસેટ કેમ્પસમાં દાનભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.  

આ પ્રસંગે કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણીમંડળ–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ, દાતા શ્રી દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા), કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી સી. એ. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રી ધીરુભાઈ પટેલ, ખજાનચી શ્રી ગીરીશભાઈ સી. પટેલ, પ્રિ. આર. વી. પટેલ, એન. એમ. પટેલ, ચારુસેટના રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલ, માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટના પદાધિકારીઓ, ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો-ડીન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.    

પ્રારંભમાં શ્રી સુરેન્દ્ર પટેલના હસ્તે દાતા શ્રી મગનભાઈ પટેલને પુસ્તકરૂપી પુષ્પ અને શાલ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સન્માનપુષ્પનું વાંચન કરવામાં આવ્યું હતું. 

દાતા શ્રી મગનભાઈ પટેલનો જન્મ 1 મે, 1937ના રોજ ચરોતરના પીપળાવ ગામમાં થયો હતો. શિસ્ત, ઈમાનદારી અને સેવા જેવા સંસ્કારોથી ભરેલા પરિવારમાં ઉછરેલા દાતાશ્રી પર તેમના પિતા શ્રી આશાભાઈ પટેલના જીવનમૂલ્યોનો ઊંડો પ્રભાવ રહ્યો હતો. પિતાના માર્ગદર્શન હેઠળ તેમણે ધર્મ, નૈતિકતા અને સમાજસેવાનું જીવનદર્શન અપનાવ્યું હતું. પ્રાથમિક શિક્ષણ પીપળાવમાં અને માધ્યમિક શિક્ષણ સુણાવમાં પૂર્ણ કર્યા બાદ તેમણે સિવિલ એન્જિનિયરિંગમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. 1963માં બીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી મેળવી અને ત્યારબાદ અમેરિકા જઈ 1965માં યુનિવર્સિટી ઓફ ટેનેસીમાંથી એમ.એસ. પૂર્ણ કર્યું. પીપળાવમાંથી અમેરિકા જનાર તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા.  

1970થી 1996 સુધી તેમણે ન્યુયોર્ક સિટી ટ્રાન્ઝિટ સબવે સિસ્ટમમાં કન્સ્ટ્રક્શન એન્જિનિયર તરીકે સેવા આપી. પ્રમોશન કરતાં તેમણે હંમેશા ફિલ્ડ વર્કને પ્રાધાન્ય આપ્યું અને વિવિધ સંસ્કૃતિના લોકો સાથે કાર્ય કર્યું. નિવૃત્તિ બાદ પણ સમાજ પ્રત્યે તેમની જવાબદારી યથાવત રહી. તેઓ સનાતન હિંદુ છે અને આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પંચદેવ ઉપાસનામાં વિશ્વાસ રાખે છે. શિક્ષણ, ગરીબ કલ્યાણ અને સામાજિક સેવાઓમાં તેમણે નિ:સ્વાર્થ યોગદાન આપ્યું છે. ચારુસેટને રૂ. એક કરોડથી વધુનું દાન આપી ‘હેમલતાબેન મગનભાઈ પટેલ મોલેક્યુલર લેબોરેટરી’ સ્થાપવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના પરોપકારી કાર્યો બદલ તેમને ‘પ્લેક ઑફ અલ્ટ્રુઇઝમ’ અને ‘દાન ભાસ્કર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રી સુરેન્દ્રભાઈ પટેલના હસ્તે દાતા શ્રી મગનભાઈ પટેલને સન્માનપુષ્પ અર્પણ કરાયું હતું 

દાતા શ્રી મગનભાઈ પટેલે સન્માનનો પ્રતિભાવ વ્યક્ત કરતા દાન ભાસ્કર એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

શ્રી સુરેન્દ્રભાઈ પટેલે કહ્યું કે દાતા શ્રી મગનભાઈ આધ્યાત્મિકતામાં રસ ધરાવે છે અને ભગવાનમાં અપાર શ્રધ્ધા રાખે છે ત્યારે આવા દાતાશ્રીઓના દાનથી યુનીવર્સીટીનો સતત વિકાસ થઇ રહ્યો છે.       

અંતમાં આભારવિધિ અને સમારંભનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જયશ્રી મહેતાએ કર્યું હતું.  

દાન ભાસ્કર એવોર્ડ : સેવા અને સમર્પણનું પ્રતિષ્ઠિત સન્માન

ચારુસેટ યુનિવર્સિટીના વિકાસ અને સામાજિક કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓને સન્માનિત કરવા માટે આપવામાં આવતો ‘દાન ભાસ્કર એવોર્ડ’ એક પ્રતિષ્ઠિત માન્યતા છે.આ એવોર્ડ દ્વારા આરોગ્ય, શિક્ષણ અને સમાજ કલ્યાણ ક્ષેત્રે કરાયેલા નોંધપાત્ર દાન અને સેવાકાર્યોને વિશેષ રૂપે ઉજાગર કરવામાં આવે છે, જેથી દાતાશ્રીઓના ઉમદા યોગદાનને સમાજ સમક્ષ ગૌરવપૂર્વક રજૂ કરી શકાય.