
વલ્લભ વિદ્યાનગર | ગુરૂવાર
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી અને ભારતીય સંસ્કૃતિના જતન માટે પરંપરાગત રમતોત્સવનું સતત ત્રીજા વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૨/૦૨/૨૦૨૬થી યુનિવર્સિટીના બાકરોલ સ્થિત સરદાર પટેલ મેદાન ખાતે રમતગમત સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે.
રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. નિરંજનભાઈ પટેલ, કુલસચિવશ્રી તથા શારીરિક શિક્ષણ વિભાગના કાર્યકારી નિયામક ડો. ભાઈલાલભાઈ પટેલ સહિત વિવિધ વિભાગોના વડાઓની ઉપસ્થિતિમાં રમતોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ઉદ્ઘાટન પ્રસંગે કુલપતિ પ્રોફેસર ડો. નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી યુનિવર્સિટી દ્વારા પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ મોબાઈલ અને ટેકનોલોજીની દુનિયામાં વ્યસ્ત બની ગયા છે, ત્યારે તેમને મેદાન પર પાછા લાવી અને આપણી વિસરાતી જતી રમતો સાથે પરિચિત કરાવવાનો આ આયોજનનો મુખ્ય હેતુ છે.
આ રમતોત્સવમાં ગિલી-ડંડા, લખોટીઓ, સતોડિયું, ભમરડા, કોથળાદોડ, લંગડી અને લીંબુ-ચમચી જેવી પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના વિવિધ વિભાગોના ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નોંધણી કરાવી ભાગ લીધો છે.
આ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે અને તેઓ માનસિક તેમજ શારીરિક રીતે મજબૂત બને તેવી આશા યુનિવર્સિટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.