AnandToday
AnandToday
Wednesday, 14 Jan 2026 18:30 pm
AnandToday

AnandToday

પૂર્ણ વંદેમાતરમ ગાન, સરદાર સ્મૃતિ અને સનાતન સંસ્કૃતિના સંદેશ સાથે ૨૦મોધર્મજ ડેભવ્ય રીતે ઉજવાયો

સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે બે દિવસીય ઉજવણી, ‘ધર્મજ ગૌરવ’ એવોર્ડ તથા સરદાર પર પ્રવચન આકર્ષણનું કેન્દ્ર

આણંદ ટુડે | આણંદ

ચરોતર પ્રદેશમાં જ નહીં પરંતુ ગુજરાત અને કદાચ દેશમાં કોઈ એક ગામ પોતાનો દિવસ ઉજવતું હોય તેવું એક માત્ર ગામ ધર્મજ હશે. દર વર્ષે સ્વામી વિવેકાનંદ જયંતીના રોજ તા. ૧૨મી જાન્યુઆરીના દિવસે છેલ્લા ૨૦ વર્ષથી સતત “ધર્મજ ડે” ઉજવણી નિયમિત થાય છે. આ ઉજવણી દ્વારા સ્વામીજીના પ્રેરણાદાયી શબ્દો “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”ને સાર્થક કરવાનો પ્રયાસ “ટીમ ધર્મજ” કરી રહી છે. દર વર્ષે ઉજવણીમાં નાવીન્ય લાવવા સાથે તેને અર્થસભર બનાવવામાં આવે છે. આ વર્ષની ઉજવણીમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતીને ધ્યાનમાં રાખી વર્ષ દરમ્યાન તે મુજબના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં ગામની શાળાઓમાં સરદારના ૧૮૧૫ પુસ્તકો ભેટ આપવા સાથે વકૃત્વ સ્પર્ધાઓ, સરદાર સ્મૃતિ સચવાયેલ છે તેવા ખેડા – આણંદના સ્થાનોની મુલાકાત તથા અનુભવ કથન વગેરે પ્રવૃત્તિઓ વર્ષ દરમ્યાન કરવામાં આવેલ. ધરતીપુત્ર સરદાર ખેડૂતના દીકરા હોવાના નાતે ચરોતરની માટીના રંગ એટલે કે બ્રાઉન રંગની થીમ રાખેલ હતી. 

તા. ૧૨મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાતો મુખ્ય કાર્યક્રમ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અંતર્ગત કાર્યરત “ઇન્ડેક્ષ્ટ સી”ના એક્ઝેક્યુટીવ ડાયરેક્ટર તથા સનદી અધિકારી ડૉ. સંજયભાઈ જોશીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશન ધર્મજના સયુંકત ઉપક્રમે યોજાતા આ કાર્યક્રમમાં ડૉ. સંજયભાઈ સાથે બંને સંસ્થાના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ તથા રાજેશભાઈ, રોહિતભાઈ(ગોગીભાઈ), મનીષભાઈ(મુખી), પટેલ પ્રિન્ટીંગ પ્રેસ પ્રા. લી. અમદાવાદના ઋષિકભાઈ પટેલે મંચ ઉપર સ્થાન શોભાવેલ. ચાલુ વર્ષે રાષ્ટ્ર ચેતનના ગાન વંદે માતરમની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થયેલ હોઈ ગામની વાત શરૂ કરતા પહેલાં કાર્યક્રમની શરૂઆતમાં પૂર્ણ વંદેમાતરમ ગાનથી કરવામાં આવેલ. જે માટે વંદેમાતરમ ગાન સબ ટાઈટલ સાથેની વિડીયો કલીપ સાથે રજુ કરવામાં આવેલ. જેથી ઉપસ્થિત સૌ પણ સાથે ગઈ શકે. ત્યાર પછી ધર્મજ ગીતના ગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. શાબ્દીક સ્વાગત હેમંતભાઈ પટેલે કરેલ. મંચસ્થ મહેમાનોનું સ્વાગત સરદાર પટેલનું  પુસ્તક આપી કરવામાં આવેલ. સાથે સાથે જાણીતા કલાકાર અપૂર્વ દેસાઈ દ્વારા બનાવેલ સરદાર પ્રતિમા ભેટ આપવામાં આવેલ. 

“ટીમ ધર્મજ”ના ઉત્સાહી સભ્ય રાજેશ પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે વર્ષ દરમ્યાન છ ગામ પાટીદાર સમાજ અને ધરોહર ફાઉન્ડેશન દ્વારા ધર્મજ કેળવણી મંડળ, ગામની અન્ય સંસ્થાઓ તથા ગ્રામજનોના સહકાર સાથે થયેલ વિવિધ પ્રવૃત્તિઓ અંગે સુંદર અહેવાલ આપવા સાથે આગામી સમયમાં કરવા ધારેલ કાર્યો અને કાર્યક્રમોની વિગતો રજુ કરી દેશ વિદેશથી પધારેલ ધર્મજીયનોને ગામની ગતિવિધિથી અવગત કરાવેલ. સમાજના વિદ્યાર્થીઓમાં અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ ક્રમાંક સાથે ઉત્તીર્ણ થનાર કુ. વિધિ સમીરભાઈ પટેલ તથા ડૉ. ઋતુ આશીર્વાદ પટેલનું સન્માન કરવામાં આવેલ. વધુમાં ધર્મજ ખાતે ધૂન પેટિંગ ફાર્મના માધ્યમથી જીવરક્ષા અને પર્યાવરણ ક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરી રહેલ અર્ચનાબેન શૈલેષભાઈ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે અર્ચનાબેન તથા દીકરી કુ. ધારા પટેલ લિખિત ચાર પુસ્તિકાનું વિમોચન કરવામાં આવેલ. 

વર્ષ ૨૦૦૯માં ત્રીજા “ધર્મજ ડે” પ્રસંગે ધર્મજ ગામ વિશે રાજેશ પટેલ લિખિત પુસ્તકના વિમોચન સાથે શરૂ થયેલ તેમની લેખનયાત્રાના ઉલ્લેખનીય કાર્ય સમાન તેઓના ૧૧મા પુસ્તક “આપણું ધર્મજ – આદર્શ ભારતીય ગામ’નું વિમોચન પણ કરવામાં આવેલ. આ પુસ્તક દાતા અજયભાઈ પટેલ તથા રોહિતભાઈ પટેલ દ્વારા તૈયાર કરાવી ધરોહર ફાઉન્ડેશનને આપવામાં આવેલ છે. જેની આવકમાંથી આગામી સમયમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ ગત વર્ષે ઓગસ્ટ માસમાં પ્રકાશિત કરવામાં આવેલ. જે નૈલેશભાઈ પટેલ દ્વારા અમેરિકા ખાતે 

“ધર્મજ રીયુનિયન” કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ભેટ આપવામાં આવેલ. આ વર્ષે સૌ પ્રથમ વખત “ધર્મજ ગૌરવ” એવોર્ડ સંસ્થાકીય સ્તરે આપવામાં આવેલ. વર્ષ ૧૯૬૩માં ગામના વતની સ્વ. કાન્તિભાઈ તથા સ્વ. કનુભાઈ દ્વારા અમદાવાદ ખાતે રાયપુર દરવાજા પાસે પટેલ પ્રિન્ટીંગ પ્રેસના નામથી શરૂ કરવામાં આવેલ એક નાનકડી શરૂઆત આજે પ્રાઈવેટ લિમિટેડ કંપની બનવા સાથે પ્રિન્ટીંગ ક્ષેત્રે મોટું નામ બની ગયેલ છે. આજ સુધી ૬૩ વર્ષના કાર્યકાળમાં ત્રીજી પેઢી સંચાલનમાં આવવા છતાં ગુણવત્તા એક સરખી રહી છે. જેના કારણે તેમને પ્રિન્ટીંગ માટે દર વર્ષે રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ પ્રાપ્ત થાય છે. દેશના મોટા ઘરાના કહેવાય તેવા અદાણી તથા અંબાણી પરિવારોમાં તાજેતરમાં થયેલ લગ્નોની આમંત્રણ પત્રિકાઓ આ પ્રેસમાં છપાયેલ. માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓની વાર્ષિક ડાયરી તથા અન્ય સાહિત્ય પણ છપાતું હોય છે. આ પ્રેસની ૬૩ વર્ષની સફર અને ત્રણ પેઢીની મહેનતનું સન્માન “ધર્મજ ગૌરવ” એવોર્ડ એનાયત કરી કરવામાં આવેલ. જેનો સ્વીકાર કરતાં હાલના સંચાલક ઋષિકભાઈ પટેલે સમાજનો આભાર માનેલ.

કાર્યક્રમના હાર્દ સમું પ્રવચન ડૉ. સંજયભાઈ જોશી દ્વારા કરવામાં આવેલ. તેઓશ્રીએ “સરદાર – એક સમર્પિત જીવન” વિષય ઉપર ખુબ જ માહિતીસભર વિગતો સાથે રજૂઆત કરીને ઉપસ્થિત સૌને મંત્ર મુગ્ધ કરવા સાથે દેશ વિદેશથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી રહેલ સૌને પણ સરદાર વિચારોનું સુંદર રસપાન કરાવેલ. તેઓ સનદી અધિકારી હોવા ઉપરાંત તેમણે સરદાર સાહેબ ઉપર પી. એચ. ડી. કરેલ છે. વધુમાં ભારત દેશ અને દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બનેલ સરદાર પટેલની પ્રતિભાને છાજે તેવી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સમયે પાયાના કહેવાય તેવા શરૂઆતના ૮ વર્ષ  કેવેડિયા ખાતે સેવારત રહેલ.  આ પ્રસંગે તેઓએ સ્વામી વિવેકાનંદ તથા સરદાર પટેલ સાથે  રહીને આઝાદી સમયે ઉલ્લેખનીય કાર્ય કરનાર ધર્મજના સપૂત ડૉ. એચ. એમ. પટેલને પણ યાદ કરેલ. અંતમાં આભાર વિધિ ધ ધર્મજ પીપલ્સ બેન્કના મેનેજર વિનોદભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ.

આ વર્ષે કે નવીન પ્રયોગ સાથે “ધર્મજ ડે” ઉજવણી બે દિવસની રાખવામાં આવેલ. જેમાં તા.  ૧૩મી જાન્યુઆરીના રોજ ગામની ભાગોળે ટાવર ચોકમાં સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતાં ઉર્જાવાન કાર્યક્રમ “મેરા દેશ – મેરા સનાતન” રાખવામાં આવેલ. ઝી ટી. વી. ના સા, રે, ગ, મ, પ કાર્યક્રમ ફેઈમ વડોદરાના કલાકાર યોગી પાઠક ગ્રુપ દ્વારા આ કાર્યક્રમની રજૂઆત એટલી સુંદર હતી કે ઠંડી હોવા છતાં શ્રોતાઓને જકડી રાખેલ. આમ “ધર્મજ ડે”ના ૨૦મા સોપાનની સફળ ઉજવણી સાકાર કરવા સાથે આગામી વર્ષમાં કરવા જોગ કાર્યોના આયોજન સાથે “ટીમ ધર્મજ” નવીન ઊર્જા સાથે તૈયાર થઇ હતી.