AnandToday
AnandToday
Monday, 12 Jan 2026 00:00 am
AnandToday

AnandToday

ભાજપની ગરીબ વિરોધી નીતિઓ સામે આણંદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

આણંદ ટાઉન હોલ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા ઘરણાં યોજી  વિરોધ પ્રદર્શન કરાયું

આણંદ ટુડે | આણંદ

કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા જેવી ગરીબ કલ્યાણકારી યોજનાને કમજોર બનાવવાના પ્રયાસો સામે કોંગ્રેસ દ્વારા દેશભરમાં મનરેગા બચાવ સંઘર્ષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાની સૂચનાથી આણંદના ટાઉન હોલ ખાતે આજે સોમવારના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવ આંદોલન અંતર્ગત ધરણાં કાર્યક્રમ યોજી કેન્દ્ર સરકારની નીતિઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. કાર્યક્રમમાં મનરેગાને નબળી પાડતા કાયદાકીય ફેરફારોનો વિરોધ કરી તેને તાત્કાલિક પરત ખેંચવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

ધરણાં દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે ‘મનરેગા બચાવો’ આંદોલન પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે લડવામાં આવશે. ગુજરાત કોંગ્રેસે ભાજપની ગરીબ વિરોધી વીબી-ગ્રામ-જી કાયદાની ઘોર નિંદા કરતા તેને ગ્રામિણ ગુજરાતના જીવન પર સીધો હુમલો ગણાવ્યો હતો. સાથે જ વિકસિત ભારત-ગ્રામ-જી કાયદો તાત્કાલિક પરત ખેંચી મનરેગાના મૂળ અધિકાર આધારિત સ્વરૂપની પુનઃસ્થાપના કરવાની માંગ કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી નિશાંત રાવલે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા મનરેગાને નાબૂદ કરવાની કાવતરું ચાલી રહ્યું છે. નવો કાયદો ગ્રામીણ ગરીબો, ખેડૂતો, ભૂમિહીન મજૂરો, મહિલા કામદારો, દલિત અને આદિવાસી સમુદાયો સાથે દગો સમાન છે. દુષ્કાળ, પૂર અને આર્થિક સંકટ સમયે મનરેગા જીવનરેખા રહી છે, પરંતુ નવા કાયદાથી ‘રોજગાર’ અધિકાર નહીં રહી સરકારની મરજી પર નિર્ભર બની ગયો છે. ગ્રામસભા અને પંચાયતોની સત્તા છીનવી લઈને નિર્ણયો દિલ્હીમાં કેન્દ્રીકરણ કરવામાં આવ્યા છે. મજૂરી, કામના દિવસો, ફંડિંગ રેશિયો અને બાયોમેટ્રિક પ્રક્રિયાઓ ગરીબ મજૂરો માટે અડચણરૂપ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.

ધરણાં કાર્યક્રમમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ પઢિયાર, પ્રભારી શ્રી મગલસિંહ સોલંકી, ગુજરાત સેવાદળના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ રબારી, પૂર્વ મંત્રી ડો. પલક વર્મા, AICCના સહ મંત્રી, મહિલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રજનીકુવરબા, અમર ધોમસે તેમજ તાલુકા-શહેર પ્રમુખો અને જિલ્લા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ગ્રામીણ ગુજરાતના જીવન પર સીધો હુમલો -કોંગ્રેસ

• ‘મનરેગા બચાવો’ આંદોલન પંચાયતથી રાજ્ય સ્તર સુધી લડાશે

• વીબી-ગ્રામ-જી કાયદો ગ્રામિણ ગુજરાત પર સીધો હુમલો – કોંગ્રેસ

• વિકસિત ભારત-ગ્રામ-જી કાયદો તાત્કાલિક પરત ખેંચવાની માંગ

• મનરેગાને અધિકાર આધારિત કાયદા તરીકે પુનઃસ્થાપિત કરવા માગ

• ગ્રામસભા-પંચાયતોની સત્તા છીનવવાના પ્રયાસોનો વિરોધ