AnandToday
AnandToday
Thursday, 04 Dec 2025 18:30 pm
AnandToday

AnandToday

જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મોગરી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

બાળકોમાં રહેલું કૌશલ્ય ઉજાગર કરવાનું કામ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દ્વારા કરાયું - અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

આજની યુવા પેઢી નવી નવી શોધ કરી રહી છે તેના માધ્યમથી દેશ આત્મનિર્ભર બને તે દિશામાં વધુ આગળ વધી રહ્યો છે - નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

આણંદ ટુડે | આણંદ,
 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ, જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આણંદ અને જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ને અન્નને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. 

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ષ 2047 માં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે આજે યોજાયેલ આ પ્રદર્શન ની મેઈન થીમ વિકસિત અને આત્મ નિર્ભર ભારત રાખવામાં આવી છે જેમાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા- ગ્રીન એનર્જી, વિકસતી અને નવીન ટેકનોલોજી, મનોરંજક સંબંધિત ગણિત મોડેલ, આરોગ્ય અને સ્વચ્છતા તથા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન જેવા થીમ ઉપર જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા તેમણે ઉમેર્યું કે બાળકોમાં રહેલું કૌશલ્ય ઉજાગર કરવાનું કામ આ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દ્વારા કરવામાં આવ્યું છે તે માટે તેમને તૈયાર કરનાર શિક્ષકોને પણ તેમણે અભિનંદન આપ્યા હતા. 

તેમણે વધુમાં જણાવ્યું કે આજના આ નાના બાળ વૈજ્ઞાનિકો એ દેશનું ભવિષ્ય છે. બાળ વૈજ્ઞાનિકોને તૈયાર કરી શિક્ષકોએ તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર લાવવાનું કામ કર્યું છે. આ બાળ વૈજ્ઞાનિકો વિકસિત ભારત બનાવવામાં સહયોગી બનશે તેમ તેમણે જણાવ્યું હતું. 

નાણા, જેલ અને પોલીસ આવાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજની યુવા પેઢી નવી નવી શોધ કરી રહી છે તેના માધ્યમથી દેશ આત્મનિર્ભર બને તે દિશામાં વધુ આગળ વધી રહ્યો છે, ત્યારે તેમણે સ્વદેશી અપનાવવું ખૂબ જ જરૂર છે તેમ કહીને આજના વૈજ્ઞાનિક પ્રદર્શનની થીમ ભૂલકાઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે અને આત્મનિર્ભર બનવા માટે આ નાના ભૂલકાઓમાં રહેલી શક્તિઓ દેશ માટે ખૂબ જ ઉપયોગી નીકળશે તેમ જણાવી ભૂલકાઓ અભિનંદનને પાત્ર છે તેમ કહ્યું હતું. 

જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લુ મુક્યા બાદ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને મહાનુભાવો એ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રજૂ કરવામાં આવેલ વિવિધ કૃતિઓ નિહાળી હતી અને નાના ભૂલકાઓ વૈજ્ઞાનિકો પાસેથી તેની જાણકારી પણ મેળવી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

પ્રારંભમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી ગઢવીએ સૌનો આવકાર કરી જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. 

અંતમાં આભાર વિધિ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરીના ટેકનોલોજી ડાયરેક્ટર શ્રી પીટર દાસજી સાધુએ કરી હતી. 

આ કાર્યક્રમમાં અનુપમ મિશનના કુલ ગુરુ પૂજ્ય રતિકાકા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ, જ્ઞાનયજ્ઞ વિદ્યાલય ના આચાર્ય સહિત શિક્ષક ગણ, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, શૈક્ષણિક સંઘના પ્રમુખશ્રીઓ, સીઆરસી, બીઆરસી સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
***