
આણંદ ટુડે | આણંદ
આણંદ BAPS સ્વામિનારાયણ મંદિર રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે .તા.૨૨/૧૦/૨૦૨૫, શનિવારે બપોરે
આણંદમાં ભવ્ય નગર યાત્રા નીકળી હતી
આ દિવ્ય નગર યાત્રા સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આણંદ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરને ૨૫ વર્ષ પૂર્ણ થતાં હોઈ “આણંદ મંદિર રજત જયંતિ મહોત્સવ” ઉપક્રમે તા. ૨૨ થી ૨૮ નવેમ્બર દરમિયાન રજત જયંતિ મહોત્સવના વૈવિધ્ય પૂર્ણ સાંસ્ક્રુતિક – આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે તા.૨૨/૧૦/૨૦૨૫ના રોજ ભવ્ય નગર યાત્રા યોજવામાં આવેલ હતી. જેમાં વિવિધ આકર્ષણો જોવા મળ્યા હતા. ગજરાજ ઉપર બિરાજિત ભગવાન સ્વામીનારાયણ, નાસિક ઢોલ પતાકા,આદિવાસી નૃત્ય,તારપા નૃત્ય,આકર્ષક ગુરુ પરંપરા રથ,વસુધેવ કુટુંબકમ ટેબલો,મોબાઈલની માયાજાળ ટેબલો,વ્યસન મુક્તિ ટેબલો,મેસ્કોટ પરેડ,પ્રકૃતિ સંવર્ધન ટેબલો વગેરે સાથે સંતો અને આબાલ વૃદ્ધથી શોભાયમન નગર યાત્રા સૌનું ધ્યાન આકર્ષિત કરતી હતી સાથે સાથે શુભ પ્રેરણાઓ પણ આપતી હતી. આ ભવ્ય નગર યાત્રા બપોરે ૧.૦૦ કલાકે આણંદ વ્યાયામ શાળા પાસેથી શરૂ થઈ હતી જેમાં પૂજ્ય ભગવદ્ ચરણ સ્વામી, કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામી અને નામાંકિત મહાનુભાવો સાંસદ શ્રી મિતેશભાઈ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ - બાપજી, જિલ્લા પોલીસ વડા શ્રી ગૌરવ જસાણી, સી.વી.એમ.જોઇન્ટ સેક્રેટરીશ્રી મેહુલભાઇએ નગર યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું ત્યારબાદ અમૂલડેરી, મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યું, ગામડી વડ,નવા બસ સ્ટેન્ડ, ટાઉન હૉલ, ભાઈ કાકા સર્કલ, મોટા બજાર,સરદાર પટેલ સ્ટેચ્યું, શાન મોલ, ગીતા સર્કલ થઈને અક્ષર ફાર્મ વિરમી હતી. કુલ ૯ કિ.મી. લાંબી આ ભવ્ય – દિવ્ય નગર યાત્રાનું માર્ગમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં અમુલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોઢા પરમાર,ચરોતર એજ્યુકેશન સોસાયટી,આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી વતી શ્રી બીપીનભાઇ વગેરે દ્વારા આ યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તા.૨૩/૧૧ થી તા. ૨૮/૧૧ દરમિયાન આણંદ અક્ષર ફાર્મમાં નિર્માણ થયેલ ભવ્ય નગરમાં પ્રેરક સાંસ્ક્રુતિક કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત આબાલ વૃદ્ધ સૌ કોઈને પ્રેરણા મળે તેવા “શો” અને પ્રદર્શનો પણ યોજાશે.