AnandToday
AnandToday
Tuesday, 18 Nov 2025 18:30 pm
AnandToday

AnandToday

આણંદના ગુજરાતી ચોક ખાતેની ૦૮ જેટલી નોનવેજનું વેચાણ કરતી હોટલો તાત્કાલિક અસરથી સીલ કરાઈ

સ્વચ્છતાના માપદંડોમાં નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવા ખાણીપીણીના એકમો મનપા દ્વારા સીલ કરવામાં આવશે

આણંદ, બુધવાર 
કરમસદ  આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તાર ગુજરાતી ચોક ખાતે આવેલ વિવિધ નોનવેજની હોટલ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ગુજરાતી ચોક ખાતે આવેલ વિવિધ નોનવેજની ૦૮ જેટલી હોટલો ખાતે તપાસણી કરતા  નાગરિકોના જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી છે, ઉપરાંત ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનાવવા અને વેચવા, વોકવે એટલે કે લોકોના અવરજવર કરવાના રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ થવું જેવી બાબતો જોવા મળતા અને 
ગુજરાતી ચોક ખાતેની નોનવેજ ની દુકાનો ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી  ફૂડ કાયદાની જોગવાઈ ને આધિન જીપીએમસીની કલમ ૩૭૬ એ અંતર્ગત સીલ કરવામાં આવી છે.

સીલ કરવામાં આવેલ આ હોટલોમાં બોમ્બે એ-વન ભઠીયારા, અલનૂર બિરયાની સેન્ટર, બોમ્બે રેસ્ટોરન્ટ, ન્યુ બોમ્બે બિરયાની, બિસ્મિલ્લાહ તવા ફ્રાય, ઇન્ડિયા ફ્રાય સેન્ટર, નૂર કોર્નર અને લજ્જત કેટરર્સ નો સમાવેશ થાય છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં હાઇજિન અને સ્વચ્છતા રાખવા બાબતે તાકીદ કરતા કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણી ના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે. ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડોમાં કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં, આવી હોટલો, ખાણીપીણીના એકમો સામે તાત્કાલિક અસરથી કાયદાની જોગવાઈને આધિન કાર્યવાહી કરવામાં આવશે.
***