
આણંદ ટુડે | આંકલાવ
કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે નુકસાનને લઈને આંકલાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ “ખેડૂત આક્રોશ યાત્રા” યોજી મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
ખેડૂત આક્રોશ યાત્રાનો હેતુ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન, અને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા અને સરકારની ઉદાસીનતા સામે વિરોધ નોંધાવવાનો હતો. આવેદનપત્ર મારફતે રાજ્ય સરકારે તાત્કાલિક ખેડૂત હિતમાં પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલના ખરીફ-૨૦૨૫ની સિઝનમાં શરૂઆતમાં અનુકૂળ મોસમ હોવાને કારણે સારી ઉપજની આશા હતી.
પરંતુ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૫ દરમ્યાન પડેલા કમોસમી માવઠા અને અતિભારે વરસાદના કારણે વાડી-ખેતરમાં ઉભેલા તથા ખળા-પડામાં પડેલા પાકને ગંભીર નુકસાન થયું છે.ખાસ કરીને ડાંગર અને શાકભાજી સહિતના પાકોમાં ફૂટ કોટા થવાથી ઉપજ નાશ પામી છે અને પશુપાલન માટેનો ઘાસચારો પણ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે.
ખેડૂતોના તારણ મુજબ સરેરાશ દરેક વિઘા દીઠ રૂ. ૫૦,૦૦૦ જેટલું ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો હવે ધિરાણની ચુકવણી અને આવનારી વાવણી અંગે અનિશ્ચિતતામાં છે.
આંકલાવ તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને સુપરત કરેલા આવેદનપત્રમાં ખેડૂતોની તરફેણમાં નીચે મુજબની અગત્યની માંગણીઓ રજૂ કરી:
1. તાલુકાવાર પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે હાથ ધરવો.
2. સમગ્ર જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવો.
3. પાક નુકસાનનું સંપૂર્ણ વળતર ચુકવવું.
4. પાક વીમા યોજના પુનઃશરૂ કરવી.
5. ખેતીલાયક પાક ધિરાણનું દેવું માફ કરવું.
6. ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો તાત્કાલિક શરૂ કરાવવાં.
7. પાક ગુણવત્તાના ધોરણો હળવા કરવા.
8. ખેડૂત દીઠ ખરીદીની મર્યાદા દૂર કરવી.
9. વિદેશી કૃષિ ઉપજ આયાત પર પ્રતિબંધ મૂકવો.
10. નકલી ખાતર, બિયારણ અને દવાઓ ઉપર કડક નિયંત્રણ લાવવું.
11. આધુનિક ખેત સાધનો રાહત દરે ઉપલબ્ધ કરાવવાં.
12. નકલી દૂધ ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરવી.
13. સેટેલાઇટ માપણી પ્રથા રદ કરવી.
14. પશુ ચારાનું આગોતરુ આયોજન કરવું.
આ પ્રસંગે આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ પઢીયાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતોએ મામલતદાર સમક્ષ પાકને થયેલા નુકસાન અને ધિરાણ ચુકવણીની મુશ્કેલીઓ રજૂ કરી હતી. મામલતદાર દ્વારા ખેડૂતોની રજૂઆત સાંભળી આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી હતી.
આંકલાવ તાલુકા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે “ખેડૂત કોઈ રાજકારણનો ભાગ નથી, પરંતુ દેશના અન્નદાતા છે. તેમની પીડા દૂર કરવી સરકારનું નૈતિક ફરજ છે. તાત્કાલિક પાક સર્વે, વળતર અને ધિરાણ માફીની જાહેરાત સરકાર કરે તે જરૂરી છે.p