
આણંદ ટુડે | આણંદ
આણંદના રાજકારણના ઇતિહાસમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુખ્ય રાજકીય ટક્કર જોવા મળતી આવી છે. પરંતુ આગામી કરમસદ આણંદ મહા નગરપાલિકાની ચૂંટણીમાં મોટા ફેરફારો થવાના સંકેત છે. આગામી દિવસોમાં યોજાનાર કરમસદ–આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માત્ર સામાન્ય ચૂંટણી નહીં પરંતુ એક અભૂતપૂર્વ રાજકીય રણયુદ્ધ સાબિત થવાની પૂરી શક્યતા છે.
આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ નવા વોર્ડ અને સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા રોટેશન મુજબ પ્રથમ અઢી વર્ષ માટે મેયરનું સ્થાન મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યું છે, જ્યારે પછીના અઢી વર્ષ માટે જનરલ કેટેગરી માટે રહેશે. વાંધા-સૂચનો મંગાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે, જેના પછી ચૂંટણીની તારીખો જાહેર થવાની પૂરી શક્યતા છે.
છેલ્લા 25 વર્ષથી આણંદ નગરપાલિકામાં ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે. પરંતુ હવે રાજકીય પરિસ્થિતિ બદલાઈ રહી છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), અને ભારતીય નેશનલ જનતા દળ (BNJD) સહિત અન્ય રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. આને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને મતોના વિભાજનનો મોટો પડકાર સામનો કરવો પડી શકે છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે માત્ર સત્તાનો નહીં પરંતુ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેશે. નવા પક્ષો અને અપક્ષ ઉમેદવારોના ઉદયથી ચૂંટણીના પરિણામો પર અણધાર્યા ફેરફારો જોવા મળી શકે છે.
અંતે હવે સૌની નજર એ દિશામાં છે કે કરમસદ–આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં કયો રાજકીય પક્ષ બાજી મારી શકે છે, અને કઈ રીતે શહેરનું રાજકીય સમીકરણ બદલાશે તે જોવું રહ્યું.