
આણંદ ટુડે | આણંદ
ગુજરાત કોંગ્રેસે પોતાનું સંગઠન સર્જન અભિયાન તેજ બનાવ્યું છે.ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના ઉમરેઠ તાલુકાના ૭ જેટલા આગેવાનો અને ૫૦ થી વધુ કાર્યકરો રવિવારના રોજ આમ આદમી પાર્ટીને રામ રામ કહી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો .જેને લઈ આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં AAP ને મોટો ફટકો પડ્યો છે
આણંદ શહેર સ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે 12 મી ઓક્ટોબર 2025 ને રવિવારના રોજ તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ તથા મંડળ પ્રમુખોની વિશેષ પ્રક્ષિક્ષણ શિબિરનું આયોજન કરાયુ હતું .આ કાર્યક્રમ દરમિયાન ઉમરેઠ તાલુકાના આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરો કોંગ્રેસ પક્ષ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા હતા.
આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયેલા AAP ના ઉમરેઠ તાલુકાના અગ્રણીઓમાં શ્રી નયનભાઈ પટેલ – પૂર્વ જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી,શ્રી મુન્નાભાઈ પટેલ – શહેર પ્રમુખ, ઉમરેઠ આમ આદમી પાર્ટી,શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ – મહામંત્રી, ઉમરેઠ શહેર આમ આદમી પાર્ટી,શ્રી કરણસિંહ ચૌહાણ – મહામંત્રી, ઉમરેઠ શહેર આમ આદમી પાર્ટી,શ્રી મગનસિંહ ચૌહાણ – મહામંત્રી, ઉમરેઠ શહેર આમ આદમી પાર્ટી,શ્રી કનુભાઈ તળતદા – નગરપાલિકા ઉમેદવાર, અને શ્રી જીગર પટેલ –ઉપપ્રમુખ, ઉમરેઠ તાલુકા આમ આદમી પાર્ટી ઉપરાંત તેમનાં પ૦ થી વધુ કાર્યકરોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા તથા ગુજરાત પ્રભારી ઉષાબેન નાયડુ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તમામ આગેવાનોને કોંગ્રેસ ખેસ પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોએ કોંગ્રેસની વિચારધારામાં પૂરો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ હવે જન સેવામાં નવી ઉર્જા સાથે કાર્ય કરશે અને કોગ્રેસ પાર્ટીને વધુમા વધુ મજબૂત બનાવશે .
માહિતી અધિકાર કાયદો (RTI) અમલમાં આવ્યાને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ12 ઓક્ટોબર રવિવારના રોજ આણંદ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજીને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા .તેમણે આક્ષેપ કર્યો છે કે, NDA સરકારે આ કાયદાને નબળો પાડીને અનેક કૌભાંડોની માહિતી બહાર ન આવે તે માટે વ્યવસ્થિત પ્રયાસો કર્યા છે.વધુમાં તેમણે કહ્યું હતું કે માહિતી કમિશનરોની નિયમિત ભરતી ન થવાને કારણે લાંબા સમય સુધી જગ્યાઓ ખાલી રહે છે. આના પરિણામે, લોકો જ્યારે અપીલ કરે છે ત્યારે વર્ષો સુધી તેનું નિવારણ આવતું નથી અને તેમને માહિતી મળતી નથી, જેનાથી લોકોનો અધિકાર છીનવાઈ રહ્યો છે.NDA સરકારે માહિતી અધિકાર સહિતના કાયદાને કમજોર અર્થાત લૂલા બનાવી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો