AnandToday
AnandToday
Saturday, 11 Oct 2025 18:30 pm
AnandToday

AnandToday

કરમસદ-આણંદ મહાનગરપાલિકાને ૧૫ કરોડના નવીન ફાયર ઉપકરણો અર્પણ, ૧.૬૯ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

સરકારના વિકાસના કાર્યો સાથે જેટલી જન ભાગીદારી જોડાશે, તેટલી વિકાસના કામને વધારે ગતિ મળશે : નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

આણંદ ટુડે | આણંદ,

 કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત અંદાજીત રૂપિયા ૧.૬૯ કરોડના વિકાસ કાર્યોનું ઇ ખાતમુહૂર્ત અને રૂપિયા ૧૫ કરોડના નવીન ફાયરના સાધનોના લોકાર્પણ અને પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ચેક વિતરણ તથા યોજનાકિય કિટ વિતરણનો કાર્યક્રમ નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. 

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ૨૦૦૧ ના વર્ષમાં ૭ મી ઓકટોબરના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી આજ દિન સુધી વિકાસને અગ્રીમતા આપી છે. ગુજરાતના વિકાસને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મક્કમતા સાથે આગળ વધાર્યો છે. તેમણે શહેરોના વિકાસની રાજય સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં ઉમેર્યું હતુ કે, રાજય સરકાર દ્વારા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરી આ શહેરી વિકાસ વર્ષમાં ગુજરાત સરકારે બજેટમાં વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે ખૂબ મોટી જોગવાઈ કરી છે. સરકારના વિકાસના કાર્યો સાથે જેટલી જન ભાગીદારી જોડાશે, તેટલી વિકાસના કામને વધારે ગતિ મળશે.

નાયબ મુખ્ય દંડકશ્રીએ કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા પછી શહેરમાં થયેલા વિકાસ વાત કરતાં કહ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાનું આણંદ અને આજનું આણંદ જોઈએ તો ઘણા બધા ફેરફારો જોવા મળે છે. આ વિકાસ પાછળ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેમના જનસેવાના કાર્યો  જવાબદાર છે. છેલ્લા એક વર્ષમાં મહાનગરપાલિકાને રૂપિયા ૧૨૫ કરોડથી વધારે રકમ મળી છે. આજે આણંદ સ્વચ્છતા, પાણીની સુવિધા અને સ્ટ્રીટ લાઈટની દ્રષ્ટિએ અનેક રીતે આગળ વધી રહ્યું છે. તેમણે આણંદના નાગરિકોનો સહયોગ સારો મળ્યો હોવાથી આજે સ્વચ્છતામાં પણ આણંદ આગળ છે,  તેમ જણાવ્યું હતું.

શ્રી સોલંકીએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મહાનગરપાલિકાનું જે રીતે નવું પ્લાનિંગ થઈ રહ્યું છે, તે પ્રમાણે આગામી સમયની અંદર આપણને સૌને ખૂબ સારી સુવિધા મળવાની છે. કરમસદ - આણંદ મહાનગરપાલિકા આવનારા સમય માટે ખૂબ મોટી માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવશે. તેમણે કરમસદ - આણંદ મહાનગરપાલિકા હજુ પણ આનાથી વધારે પ્રજાલક્ષી કાર્યો કરે તેવી શુભકામના પણ આ તકે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કરમસદ આણંદ મહાનગરપાલિકાની જાહેરાત ૧ લી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ થઈ અને છેલ્લા ૧૦ મહિનામાં વહીવટદારશ્રી અને કમિશનરશ્રીની આગેવાની હેઠળ શહેરના વિકાસની ગતિ તેજ થઈ છે. છેલ્લા ૧૦ મહિનામાં આશરે રૂ. ૧૨૫ કરોડથી વધુના રસ્તાના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે, જે આણંદના સર્વાંગી વિકાસની ગતિ દર્શાવે છે. 

ધારાસભ્યશ્રીએ સ્વચ્છતા ઉપર ભાર મૂકતા ઉપસ્થિત શહેરીજનોને પોતાના ઘર, ફળિયું અને સોસાયટી સ્વચ્છ રાખી સ્વચ્છતાના પર્વમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' ના નારાને અપનાવવા અનુરોધ કરી, આગામી તહેવારોમાં નાની-નાની ઘર વપરાશની વસ્તુઓ સહિત સ્વદેશી કપડાં, બૂટ-ચંપલ જેવી 'મેડ ઇન ઇન્ડિયા' વસ્તુઓનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ, પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત સ્વસહાય લોન મેળવનાર લાભાર્થીઓને પરિચય બોર્ડ વિતરણ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પોષણક્ષમ કીટ વિતરણ કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવોએ ફાયરના સાધનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ.

કાર્યક્રમના પ્રારંભમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે. ગરવાલે સૌનુ શાબ્દીક સ્વાગત કર્યું હતુ.

 કાર્યક્રમ બાદ નાયબ મુખ્ય દંડકશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ ટાઉનહોલના પટાંગણમાં ઉપસ્થિત પોલીયો બુથની મુલાકાત લઈ બાળકોને પોલીયોની રસીના ટીપાં પીવડાવ્યા હતા. 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુ શ્રી દેવાહુતિ અગ્રણી શ્રી એચ. કે. પટેલ, નાયબ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણા, અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહયાં હતા. 

***