
આણંદ, મંગળવાર
શહેરી વિકાસ વર્ષ- ૨૦૨૫ અન્વયે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદના વિદ્યાનગર રોડ ઉપર આવેલ વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનો શુભારંભ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ કરાવ્યો હતો.
નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત મેઇક ઈન ઇન્ડિયા ,વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ,આત્મનિર્ભર ભારત વિઝનથી પ્રેરિત થઈને સ્વદેશી મેળો એ સ્વદેશી ઉત્પાદનો અને સેવાઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે અનોખું પ્લેટફોર્મ બની રહ્યો છે.
વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે આણંદના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ સ્વદેશી મેળામાં ૧૦૦ જેટલા સ્ટોલ થકી જે પણ સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ દિવાળીના દિવસો દરમિયાન ખરીદવાનો અવસર મળે તે ઝડપી લઈને સામાન્ય જનના જીવન ધોરણને ઊંચું લાવવામાં મદદરૂપ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
સ્વદેશી મેળામાં ૧૦૦ જેટલા સ્વદેશી ચીજ વસ્તુઓના સામેલ કરતા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.જે પૈકી ૧૫ જેટલા સ્ટોલ જિલ્લાની સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે,સ્વદેશી મેળા દરમિયાન પદાધિકારીઓએ પોતે સ્વદેશી બનાવટની વસ્તુઓ ખરીદીને આણંદ જિલ્લાના નાગરિકોને પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ,નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ. કે.ગરવાલ, અગ્રણી શ્રી સુનિલભાઈ શાહ, શ્રી રાજુભાઈ પઢીયાર સહિત સ્વ સહાય જૂથની બહેનો તથા સ્વદેશી બનાવટના સ્ટોલ ધારકો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
--------