AnandToday
AnandToday
Friday, 26 Sep 2025 18:30 pm
AnandToday

AnandToday

સૈન્યના સન્માનમાં ગુજરાત રચશે ઇતિહાસ ગુજરાતમાં ગરબા સાથે જામશે દેશભક્તિનો રંગ

સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં સાતમના નોરતે રાજ્યભરમાં રાત્રે ૧૧ વાગ્યે એક સાથે 'ઓપરેશન સિંદૂર' પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે

શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ગૃહ મંત્રીશ્રીની અપીલ

એક નોરતું દેશના નૌજવાનોને નામ - દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં દેશના સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ

ગાંધીનગર

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ભાવભીની અપીલ કરી છે. તેમણે આવતીકાલે, રવિવાર, તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાતમના નોરતે રાત્રે બરાબર ૧૧:૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ‘ઓપરેશન સિંદૂર’ ગરબો વગાડીને દેશના વીર જવાનોને અનોખી સલામી આપવા માટે અનુરોધ કર્યો છે.

શ્રી સંઘવીએ આ ઐતિહાસિક અવસરમાં જોડાઇને સૌને વિશ્વ વિક્રમ રચવા માટે પણ આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, "આવતીકાલે રાત્રે સમગ્ર ગુજરાત એક જ તાલે, એક જ સૂરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમશે."

આ અંગે શ્રી હર્ષભાઈ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આદ્યશક્તિ મા અંબાની આરાધનાના આ પર્વમાં આપણે સૌ ઉત્સાહથી ગરબે ઘૂમી રહ્યા છીએ. આપણી આ ખુશી અને સલામતી પાછળ મા અંબાના આશીર્વાદની સાથે સાથે સરહદો પર ખડેપગે ઊભેલા આપણા વીર જવાનોનું શૌર્ય અને પરાક્રમ પણ છે. નવરાત્રિ એ શક્તિની ઉપાસનાનો તહેવાર છે અને આપણા સૈનિકો એ જ શક્તિ અને વિજયના સાચા પ્રતિક છે. 

ગૃહ મંત્રીશ્રીએ રાજ્યના તમામ ગરબા સંચાલકો, આયોજકો અને ડી.જે. મિત્રોને નમ્ર વિનંતી કરી છે કે તેઓ નિર્ધારિત સમયે દરેક શેરી, પોળ અને પાર્ટી પ્લોટમાં ‘ઓપરેશન સિંદૂર’ ગરબો વગાડે અને ખેલૈયાઓને તેના પર ગર્વભેર ઝૂમવા માટે પ્રેરણા આપે. 

તેમણે ખેલૈયાઓને અપીલ કરતા કહ્યું કે, "જ્યારે આ ગરબો વાગે, ત્યારે તમારા દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ હોય. ચાલો, આપણે સૌ સાથે મળીને આ પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવીએ."

...........