
આણંદ ટુડે | આણંદ,
રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટ સિવાયના ૨૯ જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય તેમજ ૫ (પાંચ) આશ્વાસન ઈનામ માટેના શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
સમગ્ર ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થનાર છે. ત્યારે સાંસ્કૃતિક વારસાના જતન માટે સરકારશ્રી તરફથી 'શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫' નું આયોજન કરવામાં આવ્યુ છે.જે અંતર્ગત શ્રેષ્ઠ ગણેશ પંડાલ તરીકે પ્રથમ ક્રમાંકને રૂ. પ લાખ, દ્વિતીય ક્રમાંકને રૂ. ૩ લાખ તથા તૃતીય ક્રમાંકને રૂ. ૧.૫૦ લાખ ઈનામ રૂપે રોકડ પુરસ્કાર અપાશે. આ સાથે અન્ય પાંચ પંડાલોને પણ રૂ. ૧ લાખનું પ્રોત્સાહક ઇનામ અપાશે.
આણંદ જિલ્લાના સૌ ગણેશ પંડાલ આયોજકોને આ સ્પર્ધામાં ભાગ લેવા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા અનુરોધ કરાયો છે. આ સાથે જ ગણેશ ઉત્સવ દરમિયાન ધાર્મિક ઉજવણી સાથે પર્યાવરણના જતન માટે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના સ્થાને માટીની મૂર્તિનો ઉપયોગ કરવા જણાવ્યું છે. ગણેશ પંડાલ પ્રતિયોગિતા માટે મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી( ઇકો ફ્રેન્ડલી), ઓપરેશન સિન્દૂર, દેશ ભક્તિ, સ્વદેશી થીમ વગેરે બાબતોને પ્રાધાન્ય આપવામાં આવશે.
'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-સ્વરૂપ' માં ભાગ લેવા માંગતા જિલ્લાના તમામ આયોજકોએ સ્પર્ધા માટેના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નંબર ૩૦૮/૪૦૯, જૂના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતેથી મેળવી નિયત માહિતી ભરેલા ફોર્મ પરત આ કચેરી ખાતે તા.૨૯/૦૮/૨૦૨૫ સુધીમાં જમા કરાવવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે શ્રી રશ્મિકાંત રાઠોડના મો. ૪૨૭૪૦ ૭૬૫૦૮ નો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, આણંદ દ્વારા જણાવાયું છે.
***