AnandToday
AnandToday
Thursday, 21 Aug 2025 00:00 am
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરાશે.

આણંદ જિલ્લામાં તા.૨૭ મી ઓગસ્ટથી ગણપતિ મહોત્સવ યોજાશે

આણંદ જિલ્લાના આયોજકોને ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ ઉજવવા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અપીલ

આણંદ, ગુરૂવાર
 આણંદ જિલ્લામાં આગામી તારીખ ૨૭ મી ઓગસ્ટ, બુધવારથી ગણપતિ મહોત્સવ યોજાનાર છે. આ ઉત્સવની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના પત્રકાર મિત્રો સાથે કલેકટર કચેરી આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી.

આણંદ જિલ્લામાં ઉજવવામાં આવનાર ગણપતિ મહોત્સવ ના આયોજકોને કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ અપીલ કરી છે કે ઈકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે તો પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વ્યક્ત કરી શકાય અને આ ઉત્સવ રાષ્ટ્ર ભક્તિનો ઉત્સવ ઉજવીએ તેવી રીતે આયોજન કરવા તેમણે જણાવ્યું હતું. 

કલેકટર શ્રી એ વધુમાં જણાવ્યું કે આ ગણપતિ મહોત્સવમાં  રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર, સ્વદેશી અપનાવો અને દેશભક્તિ આ ત્રણ થીમ ઉપર ગણપતિ મહોત્સવ નું આયોજન કરવા અનુરોધ કર્યો છે. 

આ ત્રણ થીમ ઉપર જે આયોજકો ગણપતિ પંડાલની સ્થાપના કરશે,  તેમની રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલ પસંદગી સમિતિ તપાસણી કરવામાં આવશે અને આ ટીમ દ્વારા નક્કી કર્યા મુજબ જે શ્રેષ્ઠ ગણિત નું આયોજન કર્યું હશે કે જેમાં પર્યાવરણને નુકસાન કર્યા વગર ગણપતિ ઉત્સવ ઇકો ફ્રેન્ડલી રીતે કરવામાં આવ્યા હશે તેવા આયોજકોને સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવશે તે પંડાલને રૂપિયા પાંચ લાખ, બીજા નંબરના પંડાલને રૂપિયા ત્રણ લાખ અને ત્રીજા નંબરના પંડાલને રૂપિયા બે લાખનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય પાંચ પ્રોત્સાહક ઇનામરૂપે પંડાલ ને રૂપિયા એક એક લાખના ઇનામ આપવામાં આવનાર છે. 

જેથી આણંદ જિલ્લામાં જે મંડળો દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં  આવનાર છે, તેવા મંડળ દ્વારા આ ત્રણ થીમ ઉપર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે, તેમ કલેકટર શ્રી એ વધુમાં ઉમેર્યું હતું.
***