AnandToday
AnandToday
Friday, 15 Aug 2025 00:00 am
AnandToday

AnandToday

આણંદ જિલ્લાના વ્યક્તિ વિશેષ સહિત વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સેવા પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓને જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના હસ્તે સન્માનિત કરાયા

આણંદ, શુક્રવાર:

૭૯ માં સ્વાતંત્ર્ય પર્વના અવસરે જિલ્લાને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે નામના અપાવનારા વિશિષ્ટ વ્યક્તિશ્રીઓનું તથા જિલ્લાના કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ તથા અધિકારીઓનું સન્માન જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. 

જે પૈકી વ્યક્તિ વિશેષ તરીકે...

શ્રીમતી ડૉ.અલ્પાબેન પટેલ

આણંદના નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ શ્રીમતી ડૉ.અલ્પાબેન પટેલ જેઓ એશિયાની ટોપ ટેન મહિલાઓના નામાંકન થયેલ છે. તેમણે દરેક ગામડાઓમાં પીપળવન બનાવવાનું અભિયાન હાથ ધર્યું. આ ઉપરાંત મહિલાઓને વ્યવસાયિક તાલીમ આપીને આત્મનિર્ભર બનાવી. તદ્ઉપરાંત છેલ્લા એક દાયકાથી મૃતદેહોનું વિધીપૂર્વકના અંતિમ સંસ્કાર કરીને સમાજ સેવા કરી રહ્યા છે. 

ઉર્મિલાબેન જે. પટેલ 

તંદુરસ્તીની ચારુતરી ઓળખ એવા ઉર્મિલાબેન પટેલ કે જેઓ ૭૯ વર્ષે મેરેથોન દોડ્યા અને હાલમાં પણ તેઓ દરરોજ પાંચ થી સાત કિલોમીટર રનિંગ કરી અદમ્ય સાહસ અને તંદુરસ્તીનો પર્યાય બનીને સૌને પ્રેરણા આપવા બદલ સન્માનિત કરાયા હતા. 

ખગોળશાસ્ત્રી ડૉ. એકતા શાહ

 એસ્ટ્રોફિઝિક્સમાં પી.એચ.ડી. ના અભ્યાસ અન્વયે સંશોધનમાં પ્રથમવાર ૬ પ્રોટોસ્ટ્રક્ચર (બાળ આકાશ ગંગા) શોધીને તેના નામ આપવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડૉ. એકતા શાહને સન્માનિત કરાયા હતા.

કથ્થક નૃત્યકાર સુશ્રી રાગાબેન એચ. પટેલ

તાજેતરમાં યોજાયેલ રાજ્યક્ષાના ખેલમહાકુંભમાં કથ્થક નૃત્યકલામાં રાજ્યકક્ષાએ બીજો ક્રમાંક હાંસલ કરીને જિલ્લાને બહુમાન અપાવવા બદલ રાગાબેન એચ. પટેલને સન્માન પત્ર એનાયત કરાયું હતુ.

આ ઉપરાંત જિલ્લામાં વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આણંદ જિલ્લાનું રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે નામના અપાવનારા રમતવીરોને પણ સ્વાતંત્ર્ય પર્વના અવસરે સન્માનિત કરાયા હતા, જેમાં...

અક્ષાબાનું ફિરોજશા દીવાન કે જેમણે કર્ણાટક ખાતે યોજાયેલ ૩૯મી સબ જુનિયર હેન્ડબોલ એસોસિએશન રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતની ટીમના ખેલાડી તરીકે પસંદગી પામ્યા અને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને  જિલ્લાનું નામ રોશન કર્યું. આ ઉપરાંત વૈશાલી પરમાર, રિઝવાન મલેક અને પાયલ પ્રજાપતિએ મધ્યપ્રદેશમાં યોજાયેલ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વિવિધ કક્ષાના વજન ધરાવતી કેટેગરીમાં  ભાગ લઈને રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવીને જિલ્લાનું રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે નામના વધારવા બદલ સન્માનથી કરવામાં આવ્યા હતા.

જિલ્લામાં શિક્ષણ ઉપરાંત પણ સમાજ ઘડતરમાં નવતર અભિગમ દાખવવા બદલ શિક્ષકોને સન્માનિત કરાયા હતા, જેમાં..

આણંદની ગોપાલપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શૈલિનબેન બી.ડાભીએ પોતાની જ શાળામાં પાણીના નળનો ફોર્સ ઓછો કરવાના ડિવાઇસ લગાવી દૈનિક 2500 લિટર પાણીની બચત કરવાની અનોખી પહેલ હાથ ધરવા બદલ, 

પેટલાદ સ્થિત  વડદલાની આર.એફ.પટેલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી વિનય શશીકાંત પટેલે સંપન્ન શિક્ષકના રૂપમાં સમાજની બહુમૂલ્ય સેવા માટે વિશિષ્ટ પ્રતિભા અંતર્ગત ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર- 2024 એનાયત થયો તે બદલ, પેટલાદના સુણાવની વ. બે. વિવિધલક્ષી વિદ્યાલય ના આચાર્ય શ્રી જાસ્મીનભાઇ પટેલે શાળાની દિવ્યાંગ દીકરી વેદાંશીની જિલ્લા અને રાજ્યકક્ષાની રમતો માટે તૈયાર કરી તો તે દીકરીને રમત ક્ષેત્રે ગોલ્ડ ,સિલ્વર અને બ્રોન્ઝ  મેડલ મેળવ્યો. તદ ઉપરાંત 45 લાખ જેટલા લોક ફાળાથી શાળામાં આધુનિક કોમ્પ્યુટર લેબ,લાઇબ્રેરી અને જીમખાનાના નિર્માણની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ, પેટલાદના બોરિયાના આચાર્ય ડૉ.પ્રદીપસિંહ સિંધાએ "સંરક્ષણ પ્રોજેક્ટ" અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવી વર્લ્ડ ઓફ રેકોર્ડમાં નોંધણી અને વૃક્ષારોપણ માટે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ તથા શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું તે બદલ તેમને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

રાસાયણિક ખેતીને ત્યજીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા બદલ આત્મા ફાર્મસ એવોર્ડ મેળવેલ ખેડૂતોને પણ આ પર્વે સન્માનિત કરાયા હતા જેમાં....*

સોજીત્રાના પલોલ ગામના ખેડૂત અમિતભાઈ પટેલને છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવવા ઉપરાંત ઝોન સંયોજક તરીકે ફરજ બજાવીને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવાની સાથે એનજીઓ મારફતે પ્રાકૃતિક કૃષિ માટેના પાયાના ખાતર એવા  જીવામૃત અને ઘનજીવામૃત  વિતરણ યુનિટ પણ તૈયાર કરીને ખેડૂતોને વિતરણ કરવા બદલ, તેમજ સોજીત્રાના ડભાઉ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હસમુખભાઈ પટેલને પણ શાકભાજી પાક ક્ષેત્રનો બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ ૨૦૨૩- ૨૪ મેળવવા બદલ સ્વાતંત્ર્ય પર્વના આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા.

૭૯ માં સ્વાતંત્ર્ય પર્વના અવસરે જિલ્લાના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર  કરનાર  શ્રેષ્ઠીઓને  જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરી સહીતના મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા, જેમાં *રાહવીર યોજના અંતર્ગત* પેટલાદના શ્રી નટુભાઈ સોલંકીએ બાધણી રવિપુરા રોડ ઉપર થયેલ ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્તને નિષ્ઠાપૂર્વકની કામગીરી કરી ઈજા પામનારને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં મદદરૂપ બનવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સ્વાતંત્ર્ય પર્વના અવસરે આણંદ કલેક્ટર કચેરી, વિવિધ પ્રાંત કચેરી હેઠળ કાર્યરત કર્મીઓ, જિલ્લા આરોગ્ય વિભાગ હેઠળ ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કચેરીના તાબા હેઠળના શ્રેષ્ઠ ફરજ બનાવનાર પોલીસ કર્મીઓને તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાઓને પણ પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

***