AnandToday
AnandToday
Saturday, 02 Aug 2025 00:00 am
AnandToday

AnandToday

નજીકના ભવિષ્યમાં ભારતમાંથી કોમ્પ્યુર હાર્ડવેરની પણ નિકાસ થવા લાગશે - પરમ સુપર કોમ્પ્યુટરના જનક ડો. વિજય ભાટકર

કોમ્પ્યુટર સોફ્ટવેર ક્ષેત્રનાં ભારત અને ભારતીયોનું યોગદાન મહત્વપૂર્ણ છે, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને એઆઇ ટેક્નોલોજીમાં ભારતનું ભવિષ્ય ઉજળું

પદ્મ વિભૂષણ ડો. ભાટકરે તેમની માતૃ સંસ્થા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની મુલાકાત લીધી 

આણંદ ટુડે 

ભારતના સુપર કોમ્પ્યુટર ‘પરમ’ના જનક તરીકે ઓળખાતા પદ્મ ભૂષણ ડો. વિજય ભાટકરે ભારતને કોમ્પ્યુટર હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના અભિયાનની સફળતા તરફ ઇંગિત કરતા કહ્યું કે, હવે એ દિવસો બહુ જ નજીક છે કે, ભારતમાંથી વિદેશોમાં પણ કોમ્પ્યુટર હાર્ડવેરની નિકાસ થવા લાગશે. 

મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાની ઇજનેરી વિદ્યાશાખામાં અભ્યાસ કરનારા ડો. ભાટકર આજે તેમની માતૃસંસ્થાની મુલાકાતે આવ્યા હતા. યુનિવર્સિટીમાં ટેકો તરીકે ઓળખાતા કેમ્પસમાં બેસી અભ્યાસકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમને ભારત દ્વારા નિર્મિત સુપર કોમ્પ્યુટરના ફાધર માનવામાં આવે છે. તેઓ હાલમાં નાલંદા યુનિવર્સિટીના કુલપતિ છે. 

એક ખાસ વાતચિતમાં તેમણે કહ્યું કે, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં સરકારના પ્રયત્નોના કારણે કોમ્પ્યુટર ચિપ્સના પ્લાન્ટ સ્થાપવા લાગ્યા છે. આ બાબત સૂચવે છે કે, હવે માત્ર સોફ્ટવેર નિર્માણના ક્ષેત્રમાં જ નહી પરંતુ, કોમ્પ્યુટર હાર્ડવેરના ક્ષેત્રમાં નિકાસની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે. એક સમયે ભેલ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક લિમિટેડ જેવી થોડી કંપનીઓ જ કામ કરતી હતી. હવે ખાનગી કંપની દ્વારા દ્વારા કોમ્પ્યુટર ચિપ્સના પ્લાન્ટ નંખાઇ રહ્યા છે. 

તેમણે કહ્યું કે, આર્ટીફિશ્યલ ઇન્ટેલિન્સ ઉપરાંત ન્યુ એજ કોમ્પ્યુટર, સોફ્ટવેરના નિર્માણમાં ભારતે હજુ લાંબુ ખેડાણ કરવાનું છે. અમેરિકા જેવા સમૃદ્ધ દેશો પણ ભારત કે ભારતીયો દ્વારા નિર્મિત સોફ્ટવેર ઉપર આધાર રાખે છે. કોમ્પ્યુટર સોફ્ટવેરના નિર્માણમાં ભારતીયોનું ખૂબ જ યોગદાન છે. દક્ષિણ ભારત ઉપરાંત ગુજરાતના ઇજનેરો આ દિશામાં મહત્વનું કામ કરી રહ્યા છે. 

ઇન્ડીજીનિયસ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ભારત અને ભારતીયોનું યોગદાન વધશે, એવું સૂચિત કરતા તેમણે કહ્યું કે, ભારતીય સોફ્ટવેર ઇજનેરો નવું સંશોધન કરતા રહ્યા છે. અમે જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અભ્યાસ કરતા હતા ત્યારે માત્ર એનાલોગ કોમ્પ્ટુટર હતા. દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં પણ થોડા ડિઝીટલ કોમ્પ્યુટર હતા. હવે જે સંશોધનો થઇ રહ્યા છે, તે સૌની સામે છે. સોફ્ટવેર ટેક્નોલોજીના કારણે ડિઝીટલ રિવોલ્યુશન આવ્યું છે. એઆઇ ટેક્નોલોજીમાં ભારતીયોનું ભવિષ્ય ઉજળું છે. 

ડિપાર્ટમેન્ટ ઓફ ટેક્સટાઇલમાં આયોજિત એક કાર્યક્રમમાં ડો. વિજય ભાટકરે ઇજનેરી છાત્રો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. 

૦૦૦