AnandToday
AnandToday
Tuesday, 22 Jul 2025 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં કુલ ૪૩૩૪૧ સર્વે નંબરની જમીન જૂની શરતમાં ફેરવવામાં આવી

આ જમીનધારકોએ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં, અને ડાયરેક્ટ બીન ખેતી કરાવી શકશે

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરીને જિલ્લાભરમાં જમીનો જૂની શરતમાં ફેરવાઈ

આણંદ ટુડે | આણંદ,
રાજ્ય સરકારના મહેસુલ વિભાગ, ગાંધીનગર દ્વારા તારીખ ૦૮/૦૪/૨૦૨૫ થી રાજ્યમાં નવી અને અવિભાજ્ય શરતની પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોની જૂની શરત તરીકે જાહેર કરવા માટે રાજ્યની તમામ મહાનગર પાલિકાઓ, શહેરી વિકાસ સત્તા મંડળો તથા જામનગર ભાવનગર અને જુનાગઢ વિસ્તાર વિકાસ સત્તા મંડળ સિવાયના તમામ (ગ્રામ્ય) વિસ્તારની ખેતી હેતુ નવી અને અવિભાજ્ય શરતની પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રિત સત્તા પ્રકારની તમામ જમીનો ઠરાવની તારીખથી જૂની શરતની ગણાશે તથા ખેતી થી ખેતી હેતુ માટે તબદીલી કે ખેતીથી બિન ખેતી હેતુ માટેની તબદીલી કે બિનખેતી હેતુ ફેર રીવાઈસ બીન ખેતી માટે પ્રીમિયમના હેતુ કલેકટરશ્રીની પરવાનગી લેવાની રહેશે નહીં તેમજ કોઈપણ પ્રકારનું પ્રીમિયમ લેવાનું રહેશે નહીં તેમ નાયબ કલેકટર, જમીન સુધારણા દ્વારા જણાવવામાં આવ્યું છે. 

આ અન્વયે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેના ભાગરૂપે આણંદ જિલ્લાના તાલુકાઓના સર્વે નંબરની જમીન જૂની શરતમાં ફેરવવામાં આવી છે, આના કારણે નાગરિકોને પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં જેનો સીધો ફાયદો લોકોને થશે અને ડાયરેક્ટ બિનખેતી કરાવી શકશે.
 
આ કામગીરી અન્વયે આણંદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારશ્રીના તારીખ ૦૮ મી એપ્રિલ ૨૦૨૫ ના ઠરાવ મુજબ જૂની શરત જાહેર કરવાપાત્ર સર્વે નંબરની જમીન જૂની શરતમાં ફેરવવામાં આવી છે. જેમાં આણંદ ગ્રામ્યમાં ૬૪૯૭, ઉમરેઠ તાલુકામાં ૨૬૧૮, બોરસદ તાલુકામાં ૧૩૨૪૮, આંકલાવ તાલુકામાં ૬૧૭૪, પેટલાદ તાલુકામાં ૪૯૧૫, સોજીત્રા તાલુકામાં ૫૦૩૪, ખંભાત તાલુકામાં ૧૪૧૨ અને તારાપુર તાલુકામાં ૩૪૪૩ મળીને કુલ -  ૪૩,૩૪૧ સર્વે નંબરોની જમીન જૂની શરતમાં ફેરવવામાં આવી છે, જેથી આ જમીનધારકોને પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં.