
આણંદ,
કરમસદ - આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જર્જરીત થયેલી, ભયજનક સ્થિતિમાં આવેલી દુકાનોને મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે, અને આ દુકાન તાત્કાલિક અસરથી ખાલી કરવા જણાવ્યું છે.
મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૫૭૨ જેટલા દુકાનદારો, મકાનો ના રહીશોને દુકાનો અને મકાનો જર્જરીત થયેલ હોય, ભયજનક હોય, ચોમાસાની ઋતુને ધ્યાને લઇ ગમે ત્યારે અકસ્માત થવાનો સંભવ હોય, રસ્તા પરથી અવરજવર કરતા લોકો તેમજ આજુબાજુના રહીશોના જાનમાંલને નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાને ધ્યાને લઈ તેનું તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરાવવું જરૂરી હોય અથવા રીપેરીંગ ન થાય તેવા દુકાન કે મકાન પાડી દેવામાં આવે તે જરૂરી છે.
મનપા અધિકારીના જણાવ્યા મુજબ મનપા હસ્તકની અને ખાનગી માલિકી ધરાવતા લોકોને જર્જરીત થયેલ દુકાન કે મકાન ખાલી કરે તે ખૂબ જ જરૂરી છે, અન્યથા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ દુકાન કે મકાન ધરાસાઈ થવાની સંભાવના રહેલી છે.
મનપા વિસ્તારમાં આવેલ સુપર માર્કેટ સહિત જૂનું શાક માર્કેટની દુકાનો, ફ્રુટ માર્કેટ, મ્યુનિસિપલ કોર્પોરેશન પાછળ ની દુકાનો, સરકારી દવાખાના કમ્પાઉન્ડ ની દુકાનો નો સર્વે કરવાથી ધ્યાનમાં આવ્યું છે કે, આ દુકાનો જર્જરીત થયેલ હોય કોઈ જાનહાની થાય તે પહેલા તકેદારીના ભાગરૂપે દુકાનો ખાલી કરાવીને તેનું દુરસ્તી કામ કરાવવાની તાકીદ ની જરૂરિયાતને ધ્યાને લઈને દુકાનદારોને દુકાન ખાલી કરવા માટે અને કબજો મનપાને સોંપવા નોટિસ આપવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા GPMC એક્ટ મુજબ કાયદાની જોગવાઈને આધીન કુલ ૫૭૨ જેટલા દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે, તે પૈકી ખાનગી દુકાન અને મકાનો કે જે જર્જરીત થયેલા છે, તે દુકાન કે મકાન માલિકો સ્વખર્ચે દુકાન કે મકાન દુરસ્તી કામ કરાવે તે ખૂબ જ જરૂરી હોય તકેદારીના ભાગરૂપે તેમને પણ નોટિસ આપવામાં આવી છે, તેમ વધુમાં જણાવાયું છે.
***