
આણંદ
આણંદ સ્થિત વિશ્વવિખ્યાત અમૂલ ડેરીમાં આગામી દિવસોમાં યોજાનારી નિયામક મંડળની ચુંટણીને લઈ રાજકીય અને સહકારી ક્ષેત્રે ભારે ગરમાવો વ્યાપી ગયો છે.ત્યારે સોમવારના રોજ અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોઢા પરમાર અને કમિટી સભ્યશ્રી રાજેશભાઈ પાઠકના નેતૃત્વ હેઠળ અમુલ ડેરી આણંદ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં અમૂલે નિયામક મંડળ દ્વારા તેમના અઢી વર્ષના સમયગાળામાં કરેલ કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી . અને અમૂલના અઢી વર્ષના પ્રગતિ અહેવાલના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ હતું .
પત્રકારોને સંબોધન કરતા અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ જણાવ્યુ હતું કે વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં ભેંસ દૂધના ભાવ રૂપિયા ૫૧.૭૪ પ્રતિ લિટર હતો જે વધીને હાલ રૂપિયા ૬૩,૫૩ પ્રતિ લિટર થયેલ છે, જેથી ૧૧.૭૯ રૂપિયા પ્રતિ લિટર વધારેલ છે (૨૩% જેટલો વધારો થયેલ છે) અને ગાય દૂધના ભાવ રૂપિયા ૩૫.૯૩ પ્રતિ લિટર હતો જે વધીને હાલ રૂપિયા ૪૪.૧૨ પ્રતિ લિટર થયેલ છે, જેથી ૮.૧૯ રૂપિયા પ્રતિ લિટર વધારેલ છે (૨૩% જેટલો વધારો થયેલ છે). આ સાથે વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં સંઘ દ્વારા રૂપિયા ૩૫૦ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં સંઘ દ્વારા રૂપિયા ૪૨૨ કરોડ તથા ૨૦૨૩-૨૦૨૪માં ૫૩૦ કરોડ અંતિમ ભાવ તરીકે ચૂકવવામાં આવ્યા હતા જે વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં રૂપિયા ૬૦૨ કરોડથી વધુ ચૂકવવામાં આવ્યા છે (૭૨% જેટલો વધારો થયેલ છે). સંઘ દ્વારા ૨૦૨૧-૨૦૨૨ માં દૂધના ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા ૮૩૫ ચૂકવ્યા હતા ૨૦૨૨-૨૦૨૩ માં દૂધના ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા ૯૦૦ ચૂકવ્યા હતા જે વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં વધારીને રૂપિયા ૧૦૨૮ ચૂકવવામાં આવ્યા (૨૩% થી વધુનો વધારો થયેલ છે). વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં સંઘનું ટર્નઓવર રૂપિયા ૧૦,૩૩૩ કરોડ ૨૦૨૨-૨૦૨૩માં સંઘનું ટર્નઓવર રૂપિયા ૧૧,૮૦૩ કરોડ તથા ૨૦૨૩-૨૦૨૪માં ૧૨,૯૧૧કરોડ હતું જે વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ૧૪,૦૧૫ કરોડ જેટલું થયેલ છે (૩૬% જેટલો વધારો થયેલ છે).
અમૂલ ડેરીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ૭ લાખથી વધુ દૂધ ઉત્પાદકો માટે આકસ્મિક મૃત્યુ વીમો લેવામાં આવ્યો જે અંતર્ગત ૮૬ ક્લેમ સેટલ કરી સભાસદને રૂપિયા ૨.૩૧ કરોડથી વધુની સહાય કરેલ છે. સાથે-સાથે સૌ પ્રથમવાર દાણના ભાવમાં પ્રતિ કિલો ૫૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો, જેથી ૭૦ કિલોની ગુણ પર ૩૫ રૂપિયાનો ઘટાડો કરેલ છે. અમૂલ ડેરી દ્વારા ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના સહયોગથી ગ્રામ્ય કક્ષાએ સભાસદોના ઘરે ૨૯૦૦ થી વધુ બે મીટર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવેલ છે.
દૂધ મંડળીઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં દૂધ મંડળીઓને પ્રતિ લીટર ૨૫.૫૦ પૈસા કમિશન ચૂકવવામાં આવતું હતું જે વધારીને ૫૧.૫૦ પૈસા કરેલ છે. સાથે-સાથે દાણ વેચાણ કમિશનમાં વધારો કરી મંડળીઓને સ્વનિર્ભર બનાવી છે. દૂધ મંડળીઓ માટે સોલર રૂફટોપ યોજના અમલમાં મૂકી ૧૦૦૦ થી વધુ દૂધ મંડળીઓમાં સોલર રૂફ ટોપ સ્થાપવામાં આવી છે જેથી મંડળીઓના લાઇટ બિલમાં ઘટાડો કરી શકાય. પર્યાવરણની જાળવણીના ભાગરૂપે અમૂલ ડેરી ધ્વારા પાણી બચાવવાના હેતુથી અત્યાર સુધીમાં વિવિધ પ્લાન્ટ ઉપર કૂલ ૧૦૬ જેટલા રેઈન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ કરેલ છે અને ૬ જેટલા ગામડાઓમાં પણ પ્રાયોગિક ધોરણે ચાલુ કરેલ છે અને જેને અમૂલ ડેરીના ૧૨૦૦થી વધુ ગામડાઓમાં કરવામાં આવશે. જેના ઉપયોગથી ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવશે અને પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં મદદરૂપ થશે.
અમૂલ ડેરી દ્વારા પશુપાલનને વધુ વેગવંતુ બનાવવા માટે વિવિધ યોજનાઓનો પણ વર્ષ દરમિયાન અમલીકરણ કરવામાં આવેલ છે જેવી કે રબરમેટ, ઘાસ કાપવાના સુડા, મિલ્કીંગ મશીન, ઘાસનું બિયારણ સબસીડી સાથે આપવામાં આવે છે. પશુ પોષણની દિશામાં પણ અમૂલ દ્વારા ઉચ્ચ ગુણવતા યુક્ત વિવિધ પેદાશોનું ઉત્પાદન કરવામાં આવે છે અને સભાસદ માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. હાલમાં જ અમૂલ ડેરી દ્વારા સારસા ખાતે અત્યાધુનિક ટી.એમ.આર પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવેલ છે અને આ પ્લાન્ટ થકી ટી.એમ.આર. ૨૫ કિલો બેગમાં ઉપલબ્ધ કરવામાં આવે છે.
વધુમાં ચેરમેને જણાવ્યું હતું કે અમૂલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકતામાં વધારો કરવાના હેતુથી સભાસદોને વ્યાજબી દરે એટલે કે રૂપિયા ૫૦ પ્રતિ ડોઝના ભાવે સેક્સ સોર્ટડ સિમેન્ટ આપવામાં આવે છે હાલ સુધીમાં લગભગ ૯ લાખથી વધુ પશુઓમાં ઉપયોગ કરવામાં આવેલ છે, જે અંતર્ગત અંદાજિત રૂપિયા ૫૦ કરોડની સહાય સીધી સભાસદને આપવામાં આવેલ છે. મોગર ફાર્મ ખાતે આપણી પોતાની આઈ.વી.એફ. લેબની સ્થાપના કરીને ભુણ ઉત્પાદન શરૂ કરેલ છે, જેમાં આજ દિન સુધી ૩૭૦૦થી વધુ ભ્રૂણ પ્રત્યારોપણ ફાર્મમાં તેમજ કાર્યક્ષેત્રની મંડળીઓમાં કરવામાં આવેલ છે. સભાસદોને આ યોજના અંતર્ગત રૂપિયા ૧૫,૦૦૦ પ્રતિ ગાભણ પશુની સહાય કરવામાં આવેલ છે.
અમૂલ ડેરી દ્વારા ડિજિટલ નેક બેલ્ટ યોજના પણ અમલીકૃત કરી ૫૦૦૦ થી વધુ પશુઓને આવરી લીધેલ છે, જેથી પશુઓમાં વેતર ખાલી રહેવાથી થતું આર્થિક નુકસાન ઘટાડી શકાય. આ યોજના માટે સભાસદ પાસેથી સબસીડી અમલમાં મૂકી માત્ર ૯૦ રૂપિયા પ્રતિ ૫શુ પ્રતિ માસ લેવામાં આવે છે.
પ્લાન્ટના વિસ્તૃતીકરણ અને નવીનીકરણ વિષે વાત કરતા ચેરમેનને વધુમાં કહ્યું હતું કે તો અમૂલ ડેરી દ્વારા ખેડ સીટી-પુના ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ અને ચિત્તૂર (આંધ્ર પ્રદેશ) ખાતે દૂધ પ્રોસેસિંગના નવા પ્લાન્ટની સ્થાપના કરીને તેને કાર્યરત કરવામાં આવેલ છે. અમૂલ ડેરી ધ્વારા છેલ્લા ૨ વર્ષમાં વિવિધ પ્લાન્ટના વિસ્તૃતીકરણ અને નવીનીકરણ માટે રૂ.૧૫૦૦ કરોડથી રૂ.૧૭૦૦ કરોડ જેટલું રોકાણ કરેલ છે. ખાત્રજ ખાતે UHT પ્લાન્ટની સ્થાપના કરી UHTના વિવિધ ઉત્પાદનો કરવામાં આવેલ છે. અમૂલ ડેરી દ્વારા વિવિધ કોન્ટ્રાકટ સીસ્ટમમાં પારદર્શીયતા કરીને તેમજ વેન્ડર્સની સીસ્ટમને ઓપન કરીને અને કરકસરપૂર્વક વહીવટ કરીને વાર્ષિક રૂ.૧૦૦ કરોડથી વધુની બચત કરેલ છે.
સંઘ અને જી.સી.એમ.એમ.એફ.ના સંયુક્ત પ્રયાસથી અમેરિકા જેવા દેશમાં પણ આપણે દૂધનું વિતરણ કરવામાં આવેલ છે. જેના થકી અમૂલે વિશ્વભરમાં તેનો ડંકો વગાડી દીધો છે અને દુનિયાના દરેક દેશના લોકો અમૂલને એક સન્માનની નજરથી જોવે છે. હવે અમેરિકા જ નહી કેનેડા, યુરોપના દેશોમાં તેમજ આરબ દેશો જેવા કે દુબઈમાં પણ અમૂલનું વિસ્તૃતીકરણ કરવા જઈ રહ્યા છે. અમૂલ ડેરી ધ્વારા સ્પેન (યુરોપ) ખાતે દૂધનું સંપાદન કરીને દૂધનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે અને ત્યાર બાદ કેનેડા અને દુબઈમાં પણ અમુલ બ્રાન્ડ ધુમ મચાવશે.
આગામી દિવસોમાં અમૂલની ચૂંટણી આવી રહી છે. ત્યારે, સામેના લોકો પાસે કોઈ મુદ્દા રહ્યા નથી. એટલે ગમે તેવા મુદ્દાઓ લાવી અમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે, તેમ અમૂલ ડેરીના વાઈસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારે પત્રકારોને જણાવ્યું હતું .વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમારા નિયામક મંડળના બોર્ડની અંદર તમામ નિર્ણયો સર્વાનુંમતે થયા છે. 99.99 ટકા નિર્ણયો અમે સર્વાનુમતે કર્યા છે. માટે કોઈ અમારા ડિરેક્ટરને પણ આક્ષેપ કરવાની જગ્યા નથી. અમે માત્ર સભાસદોનું હિત જ જોયું છે.
અમુલ ડેરી આણંદ ખાતે 2 સપ્તાહ અગાઉ પશુપાલકો તેમજ કોંગ્રેસ દ્વારા અમૂલ ડેરીની વર્તમાન બોડી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.જોકે આજની પ્રેસ કોન્ફરન્સમાં અમુલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠકે આ તમામ આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા હતા .