AnandToday
AnandToday
Wednesday, 12 Jun 2024 18:30 pm
AnandToday

AnandToday

આજની 10 મહત્વની ખબર

લંપટ સાધુને હટાવો- સંપ્રદાય બચાવો,
હરિભક્તોએ વડતાલ સ્વામિનારાયણ મંદિર પર દેખાવ કર્યો

ખેડા જિલ્લાના વડતાલ પંથનું સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. વડતાલ હેઠળના વાડી સ્વામિનારાયણ મંદિરના ભૂતપૂર્વ કોઠારી સ્વામી સામે એક 23 વર્ષીય યુવતીએ દુષ્કર્મનો આરોપ મુક્યો છે. જેના કારણે આ વખતે હરિભક્તોમાં ભારે રોષ છવાયેલો છે. આજે ગુજરાતભરમાંથી 300 જેટલા હરિભક્તોએ વડતાલ સ્વામિનારાયણ મંદિર પર બેનરો સાથે
દેખાવ કર્યો હતો. જેમા તેમણે 'નરાધમ સાધુને ભગાવો - ધર્મને બચાવો'ના નારા પણ લગાવ્યા હતા હરિભક્તોએ મંદિર માં દર્શન કરીને આવેદનપત્ર આપ્યું હતું અને લંપટ સાધુઓેને દૂર કરવા માંગ કરી હતી

PM મોદી 18 જૂને કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો ખેડૂતોને ભેટ આપશે

PM મોદી 18 જૂને તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં હશે જ્યાંથી તેઓ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો ખેડૂતોને ભેટ આપશે. દેશના 9.3 કરોડ ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી આ નાણાકીય મદદ સીધી તેમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા મળશે. દરેક પાત્ર ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ વખતે કેન્દ્ર સરકાર 17મા હપ્તા દ્વારા ખેડૂતોના ખાતામાં કુલ 20 હજાર કરોડ રૂપિયા મોકલશે.

આકરા તાપ ના કારણે શાકભાજીના ભાવોમાં ઉછાળો

ચોમાસુ હજુ શરૂૂ નથી થયું, અને ગરમી ઘટતી નથી જેને લઇને શાકમાર્કેટમાં એક અઠવાડિયામાં શાકભાજીની આવક 25 થી 30% જેટલી ઘટી ગઈ છે. જેના કારણે લીલા શાકભાજીના ભાવમાં 20%નો વધારો થયો છે.  વેપારીઓએ જણાવ્યું હતું કે અઠવાડિયાથી યાર્ડમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

સાવકી પુત્રી પર પિતાએ આઠ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું

રાજકોટના શાપરમાં સાવકી પુત્રી પર પિતાએ આઠ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. પછી દીકરીના લગ્ન બાદ પણ બિભસ્ત માંગણી કરતો હતો. ભોગ બનનાર 12 વર્ષની હતી ત્યારથી આરોપી માસૂમનો દેહ પિંખતો હતો. 6 મહિના પહેલા ભોગબનનારના ધારી પંથકમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ ઘરે આંટો દેવા આવેલી દીકરી પાસે નરાધમ પિતાએ શરીર સંબંધની માંગ કરતા અંતે કંટાળી ભોગબનનારે શાપર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાના કેમ્પસ ગુંજી ઉઠ્યા

ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આજથી 54 હજારથી વધુ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરુ થયો છે. રાજ્યમાં 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓ માટે શાળાઓના દરવાજા ખુલ્યા છે. નવા સત્રના પ્રારંભને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. ગુજરાતમાં આજે 1.15 કરોડ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાના કેમ્પસ ગુંજી ઉઠ્યા છે.

ગુજરાતમાં શાળાઓ શરૂ થતા જ વાલીઓ પર મોંઘવારીનો માર પડ્યો 

ગુજરાતમાં શાળાઓ શરૂ થતાની સાથે જ વાલીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. જેમાં નવા સત્રના પ્રારંભ સાથે સ્કૂલબેગ, સ્ટેશનરીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. યુનિફોર્મના રો-મટિરિયલમાં ભાવ વધારો થતાં કિંમતમાં 15થી 20 ટકાનો વધારો થયો છે.સ્કૂલના નોટબુક અને અન્ય સ્ટેશનરીમાં 8 થી 10 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

બસ રેલિંગ તોડીને 60 ફૂટ નીચે ખાઈમાં ખાબકી,ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત , 26 ઘાયલ થયા

ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર મંગળવારે મોડી રાત્રે બસ રેલિંગ તોડીને 60 ફૂટ નીચે ખાઈમાં પડી ગઈ હતી. ખાઈમાં બસ ઝાડ પર લટકી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 26 ઘાયલ થયા હતા. બસમાં 29 ભક્તો હતા.મૃતક મહિલાઓ હલ્દવાની, ઉધમસિંહ નગર અને નૈનીતાલની રહેવાસી હતી.

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ  બદલવા માંગણી કરી

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં દસ વર્ષ બાદ કોંગ્રેસને એક બેઠક મળતા જ કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે. અને ધીરે ધીરે ભાજપને ભીડવવા માટે અસરકારક મુદ્દાઓ ઉઠાવવાનું શરૂ કર્યુ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનહર પટેલે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલાવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવાનો મુદ્દો ઉછાળ્યો છે અને ફરી આ સ્ટેડિયમનું નામ બદલવા માંગણી કરી છે.

ભીષણ આગ ભભુકી ઉઠતા બે બાળકો સહિત પાંચ લોકો જીવતા ભડથુ

દેશમાં છેલ્લા ઘણા સમયથી આગના બનાવોમાં એકાએક વધારો થયો છે. ઉતરપ્રદેશમાં વધુ એક આગનો બનાવ બન્યો છે જે મુજબ ગાઝીયાબાદમા એક ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ ભભુકી ઉઠતા બે બાળકો સહિત પાંચ લોકો જીવતા ભડથુ થઈ ગયાનું બહાર આવ્યું છે. આગના બનાવની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. આગની ઘટના ગઈકાલે રાત્રે 8 વાગ્યે બની હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘરમાં ફોમ બનાવવાનું કામ થતુ હતું. બુધવારે રાત્રે શોર્ટ સર્કીટ થવાની ઘરમાં ભીષણ આગ લાગી હતી.

વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ મામલે મોટી કાર્યવાહી

દેશના ગુજરાત રાજ્યમાં વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કરાયા છે. તેમાં 30માંથી 11 કર્મચારીઓને 2023માં ફરજ મુક્ત કર્યા હતા. તથા 2024માં વધુ 19 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.તેમજ વર્ષ 2021માં વિદ્યુત સહાયક ભરતીમાં કૌભાંડ થયુ હતુ.