AnandToday
AnandToday
Sunday, 15 Jun 2025 00:00 am
AnandToday

AnandToday

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક  આણંદ તાલુકાના રામનગરના મહેન્દ્રભાઈ વાઘેલાનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો
 
સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ સહિતના પદાધિકારીઓએ પરિવારજનોને  આપી સાંત્વના

જિલ્લા કલેકટશ્રી પ્રવીણ ચૌધરી સહિતના અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત

આણંદ,
અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના DNA સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે. 
આ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના મૃતકોના  પાર્થિવ દેહની ઓળખ થતા આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી તેમના પરિજનોને સોંપવામાં આવ્યા હતા.
DNA સેમ્પલિંગની પ્રક્રિયાથી લઈને પાર્થિવ દેહ સોંપવાની અને અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ ક્રિયાઓમાં જિલ્લા વહીવટી તંત્રના નિયુક્ત અધિકારીઓ મૃતકોના પરિજનો સાથે સહાનુભૂતિપૂર્વક સાથે રહ્યા છે.
આ વેળાએ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આકલાવના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા, જિલ્લા સમાહર્તા શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી આર એસ. દેસાઈ, આણંદ પ્રાંત અધિકારીશ્રી મયુરભાઈ પરમાર એ ઉપસ્થિત રહીને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, DNA સેમ્પલ મેચ થતા જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આજરોજ આણંદના મૃતકોના સ્વજનોને ફોન કરવામાં આવ્યો હતો. 
જે અન્વયે જિલ્લા વહીવટી તંત્રએ કરેલી વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્ત અધિકારીઓ મૃતકના સ્વજનો સાથે મૃતદેહ લેવા માટે ગયા હતા. આ દરમિયાન પ્રત્યેક પાર્થિવ દેહને લાવવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસની બે ગાડી તેમજ મૃતકના સ્વજનો માટે એક અલાયદી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. 
પાર્થિવ દેહની સાથે જ મૃતકના સ્વજનને પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મૃત્યુ પ્રમાણપત્ર તેમજ અન્ય કાયદાકીય કાર્યવાહી માટેના જરૂરી તમામ દસ્તાવેજો એક ફાઈલમાં તૈયાર કરીને હોસ્પિટલ તંત્ર દ્વારા સુપરત કરવામાં આવ્યા હતા. 
 મૃતદેહોની ઓળખ થયેથી પાર્થિવ દેહને સ્વ-ગૃહે પરત લાવવાની અને ત્યારબાદ અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધી કરવામાં આવેલી સંવેદનશીલ વ્યવસ્થાથી મૃતકોના સ્વજનોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
આ સમયે પ્રસંગે અધિકારીઓ તથા પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
****