AnandToday
AnandToday
Tuesday, 10 Jun 2025 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લામાં ૬૦૪ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો

આણંદ જિલ્લામાં ઉમરેઠ તાલુકાના સૌથી વધુ ૧૫૯ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

આણંદ ટુડે | આણંદ,
ગુજરાત રાજયમાં વસતા તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે અને રાજયનું એકપણ બાળક અધવચ્ચેથી શાળા છોડીને ના જાય તે માટે રાજય સરકાર દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહયાં છે, જેના પરિણામે રાજયમાં શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે, સાથો સાથ ડ્રોપ આઉટ રેટ પણ ઘટ્યો છે. જેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર થઈ છે. સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થતાં હવે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહયાં છે. 
આણંદ જિલ્લાની વાત કરીએ તો, આણંદ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓ ખાતે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે આણંદ જિલ્લામાં ધોરણ ૦૧ થી ધોરણ ૦૮ માં ખાનગી શાળામાં ભણતા ૬૦૪ વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં આણંદ તાલુકામાં ૮૨ વિદ્યાર્થીઓ, આંકલાવ તાલુકામાં ૨૫, બોરસદ તાલુકામાં ૮૨, ખંભાત તાલુકામાં ૫૬, પેટલાદ તાલુકામાં ૯૭, સોજીત્રા તાલુકામાં ૧૬, તારાપુર તાલુકામાં ૮૭ અને ઉમરેઠ તાલુકામાં ૧૫૯ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં ઉમરેઠ તાલુકામાં સૌથી વધુ ૧૫૯ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં જ સરકારી પ્રાથમિક શાળાઓ ખાતે ધોરણ ૦૧ થી ૦૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા શરૂ થયાના દિવસો દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે અને બાળકોને મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા કુમકુમ તિલક કરી દફતર પાર્ટી પેન આપીને આવકારીને શાળા પ્રવેશ કરાવવામાં આવે છે. 
આ ઉપરાંત ધોરણ ૦૧ માં પ્રવેશ લેનાર બાળક, વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ અધવચ્ચેથી શાળા છોડી ન જાય તેની તકેદારી રાખવામાં આવે છે અને અભ્યાસનું મહત્વ શું છે ? શા માટે અધવચ્ચેથી શાળા છોડી ન જવી જોઈએ ? તેની સમજ વાલીઓ અને વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. 
સરકારી પ્રાથમિક શાળાઓ ખાતે વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજનાનો લાભ આપવામાં આવે છે, વિદ્યાર્થી પ્રાથમિક શાળાથી દૂર રહેતા હોય તો આવવા જવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવે છે, શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને પ્રાથમિક શાળામાં નવું એડમિશન લે ત્યારે કન્યા કેળવણી બોન્ડ આપવામાં આવે છે.

નોંધ -સમાચારમાં આપેલ તસવીર પ્રતિકાત્મક,સોર્સ બાય google