આણંદ ટુડે | આણંદ,
કેન્દ્રિય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા તારીખ ૨૯ મે થી ૧૨ જુન ૨૦૨૫ દરમ્યાન આયોજીત “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” અંતર્ગત ગુજરાત રાજ્યમાં કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ, યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ ગામડે ગામડે જઇને ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન પૂરુ પાડી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા "વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન"ની શરૂઆત તા. ૨૯ મે ના રોજ આણંદની કૃષિ યુનિવર્સિટી ખાતેથી કરવામાં આવેલ છે.જે અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની કુલ ૧૨ ટીમ પ્રતિદિન અંદાજે ૪૩ જેટલા ગામોમાં જઈ આશરે ૭૦૦૦ જેટલા ખેડૂતોને માર્ગદર્શનઆપે છે.
આ અભિયાન દરમ્યાન અલગ અલગ વિષયોને લગતા સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવે છે. વધુમાં બેનરો દ્વારા નવીનતમ તાંત્રિકતાઓને પ્રદર્શિત કરવામાં આવી રહી છે. તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષે માહિતી આપવામાં આવે છે. તદ્દઉપરાંત ખેડૂતોના ખેતીને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રૂબરૂ ચર્ચા કરી નિરાકણ પણ કરવામાં આવે છે. અત્યાર સુધી આ અભિયાન અંતર્ગત કુલ ૩૦૨ ગામોમાં ૪૮,૨૮૧ જેટલા ખેડૂત લાભાન્વીત થયા છે.
આમ, મુખ્યમંત્રીશ્રી દ્વારા ફ્લેગ ઓફ કરાયેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ રથને જિલ્લા ખેડૂતો તરફથી ખૂબજ સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને બહોળી સંખ્યામાં ખેડૂતો કૃષિને લગતી નવિનતમ બાબતોથી લાભાન્વીત થઇ રહ્યા છે.
-------