AnandToday
AnandToday
Saturday, 31 May 2025 00:00 am
AnandToday

AnandToday

ઓપરેશન શિલ્ડ અંતર્ગત આણંદ  એલીકોન કંપની ખાતે મોકડ્રિલ યોજાઈ

૨૬ જેટલા ઈજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર લાવી તેમને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ પહોંચાડાયા : સીવીલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે તેમની કરાઈ પ્રાથમિક સારવાર

આણંદ ટુડે | આણંદ,
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર આણંદ એલીકોન કંપની ખાતે વિવિધ ડિઝાસ્ટર આધારિત મોક ડ્રિલ "ઓપરેશન શિલ્ડ" નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઈઝ યોજાઈ હતી. આ એક્સસાઈઝના ઈન્સીડન્ટ કમાન્ડર તરીકે આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુર પરમારે તમામ જવાબદારી અદા કરી હતી.

આ સિવિલ ડિફેન્સ એક્સસાઈઝ દરમિયાન એલીકોન કંપનીની કેન્ટીન ઉપર મિસાઇલ પડયુ હોવાના મેસેજ મળતા જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ હતુ અને સબંધિત તમામ વિભાગના અધિકારીઓ જરૂરી સાધન સાથે સ્થળ ઉપર ઉપસ્થિત થઈને રાહત બચાવની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં આણંદ શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે નોંધાયેલા સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને સોંપવામાં આવેલ કાર્યને સારી રીતે નિભાવીને ૨૬ જેટલા ઈજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર લાવી તેમને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે પહોંચાડ્યા હતા. 
આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઘવાયેલા દર્દીઓની એમ્બ્યુલન્સ પહોંચતા જ તાત્કાલિક દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી અને હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ દ્વારા તમામ દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
નોંધનિય છે કે, આ મોકડ્રીલનો હેતુ લોકજાગૃતિ તથા યથાર્થતા માટેનો હોય જેમાં નાગરિક સંરક્ષણના વિવિધ અધિકારીઓ, વિવિધ વિભાગો અને સેવાઓ સાથે સંકલનમાં રહી આયોજનબધ્ધ કામગીરી કરી હતી.
આ મોકડ્રીલમાં જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત અને આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, સ્ટાફ, સંલગ્ન વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, એમ.જી.વી.સી.એલ., માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, એ.આર.ટી.ઓ., પુરવઠા વિભાગ, તેમજ ફાયરબ્રિગેડ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારી, એલીકોન કંપનીના અધિકારી-કર્મચારીઓ તથા આણંદ શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે નોંધાયેલા લોકો સહભાગી બન્યા હતા. 

**