આણંદ,મંગળવાર
સમગ્ર રાજ્યમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.જેના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાઈ થવાના તથા વીજ પુરવઠો અસરગ્રસ્ત થવાના બનાવો બન્યા હતા.
આણંદ જિલ્લામાં પણ ૩૪૫ જેટલા ગ્રામ્ય સહીત શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો હતો.
જે અન્વયે જિલ્લાનાં નાગરીકોને વીજળી વિના હાલાકી ન ભોગવવી પડે તે માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વીજ વિભાગ દ્વારા ૧૪૦ જેટલી ટીમો બનાવીને યુધ્ધના ધોરણે રાઉન્ડ ધ કલોક કામગીરી કરીને વીજ પુરવઠા પૂર્વવત કરાયો છે.
જે અનુસંધાને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિક્ષક ઇજનેર શ્રી એસ. કે. વસાવા એ વીજ પુરવઠા પૂર્વવત કરાયાની કામગીરીની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યા હતું કે, વીજ કંપનીની ૧૧૦ અને કોન્ટ્રાક્ટરની ૩૦ ટીમો બનાવીને ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ટૂંકા ગાળામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આણંદ જિલ્લાના ૩૪૫ ગામો ખાતે અને આણંદ શહેર સહિત ૧૦ શહેરોમાં ૪૯૯ વીજળીના થાંભલા નમી પડ્યા હતા. આ ઉપરાંત ૫૧ ટ્રાન્સફોર્મરમાં, ૩૬૩ ફીડરમાં અને ૪૨ જેટલા ૬૬ કેવી સબ સ્ટેશનમાં વીજળીના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા.
વીજ કંપનીની ટીમ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે ૨૯૯ જેટલા ગ્રામ્ય વિસ્તારમાં તથા આણંદ શહેર સહિત ૧૦ શહેરી વિસ્તારમાં ૩૪ જેટલા વીજપોલ, ૦૬ ટ્રાન્સફોર્મર, ૨૯૧ ફીડર, ૪૨ ૬૬ કેવી સબ સ્ટેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ટૂંકા ગાળામાં વીજ સંબંધિત ૫૮૨૬ પૈકી ૩૬૨૧ ફરિયાદોનો પણ સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વીજ કંપનીની બાકી રહેલી કામગીરીમાં ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે અને હાલ બાકી રહેલા ૩૫ જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી હોવાનું શ્રી વસાવાએ જણાવ્યું હતું.
*