AnandToday
AnandToday
Saturday, 12 Apr 2025 00:00 am
AnandToday

AnandToday

ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી

પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે  નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું

આણંદ ટુડે | આણંદ,
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.આ રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ થવાથી પેટલાદ તાલુકાના પેટલાદ, પાડગોલ, મહેળાવ, બાંધણી, પોરડા, વિશ્નોલી, વટાવ, રંગાઈપુરા, દાવલપુરા, શાહપુરા, જોગણ, ખડાણા, શેખડી, ધર્મજ જેવા ગામોની અંદાજિત ૧.૨૨ લાખની જનસંખ્યાને સીધો લાભ મળશે.

ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પેટલાદ અને તેની આસપાસના તાલુકા વિસ્તારના પ્રજાજનોને આ બ્રિજના નિર્માણથી ફાટક રહીત વાહન વ્યવહાર કરવો સરળ બનશે તથા સમય અને નાણાંની બચત થશે.

ઉલ્લેખનિય છે કે, આ બ્રિજ આણંદ-પેટલાદ-ખંભાતને જોડતો હોવાથી આણંદ જિલ્લાના આણંદ, પેટલાદ, ખંભાત તાલુકાના તમામ વિસ્તારના લોકોને પણ આ બ્રિજના નિર્માણથી લાભ મળશે.મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન બોરસદના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, આણંદના સંસદસભ્ય શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ અન્ય ધારાસભ્ય સર્વશ્રી વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, યોગેશભાઈ પટેલે તથા પેટલાદ તાલુકાના પદાધિકારીઓ અને આણંદ જિલ્લાના અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીનું ફૂલહારથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
*