AnandToday
AnandToday
Sunday, 08 Dec 2024 18:30 pm
AnandToday

AnandToday

ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા - ટોપી 

આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરાયો

દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી રાજ ભૂષણ ચૌધરીના હસ્તે એવોર્ડ એનાયત

આ એવોર્ડ આણંદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના વતી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રૂબીસિંહ રાજપુતે સ્વીકાર્યો


આણંદ, 
આણંદ જિલ્લામાં જળસંચય અને જળસંગ્રહની કામગીરી માટે ૭૫ જેટલા અમૃત સરોવર બનાવવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સામે ૮૫ જેટલા અમૃત સરોવર બનાવીને આણંદ જિલ્લાના તળાવોની પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, સાથો-સાથ ભૂગર્ભ જળ, પશુઓના પીવાના પાણીની વ્યવસ્થા, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા જેવી અનેક જળ વ્યવસ્થાપનની કામગીરીને ધ્યાને લઈ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી રાજ ભૂષણ ચૌધરીના હસ્તે આ વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો હતો. જેને આણંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના વતી આણંદ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રૂબીસિંહ રાજપુતે સ્વીકાર્યો હતો.

વોટર ટ્રાન્સવર્શાલીટીના ભાગરૂપે જળસંચય અને જળસંગ્રહ હેતુસર મિશન અમૃત સરોવર અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજના, સિંચાઈ વિભાગ, પંચાયત વિભાગ અને લોકભાગીદારી થકી ૮૫ જેટલા અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના થકી જિલ્લાના તળાવોમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થવાની સાથે, ભૂગર્ભ જળ, સિંચાઈ, પશુઓના પીવા માટેના પાણીના સ્ત્રોતો વધવાની સાથે તળાવો ઉંડા થતાં ગામોમાં થતી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થયેલ છે. 

આમ, આણંદ જિલ્લામાં જળ સંચય અને જળ સંગ્રહની ખુબ જ પ્રસંશનીય કામગીરી થયેલ હોય જળસંચય ક્ષેત્રે લોકોપયોગી કામોને ધ્યાને લઇ તળાવો નવીનીકરણ/પૂનર્જીવિત કરવાના ક્ષેત્રોમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાની સરાહનીય કામગીરી બદલ આણંદ જિલ્લાને ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન દ્વારા વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો હતો.


***