AnandToday
AnandToday
Monday, 26 Aug 2024 18:30 pm
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

આણંદ જિલ્લામાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ,બોરસદ આણંદ અને ખંભાતને  ધમરોળ્યું

બોરસદ તાલુકામાં છેલ્લા 12 કલાક દરમિયાન 11 ઈચ જ્યારે આણંદ અને ખંભાત તાલુકામાં 9- 9, ઈચ અને તારાપુરમાં 7 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આણંદ જિલ્લામાં 26 મી ઓગસ્ટ ને સોમવારના રોજ મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કર્યું હતું આજે સવારે 6-00 કલાકથી સાંજના 6-00 કલાક દરમિયાન આણંદ જિલ્લામાં સતત વરસાદ ચાલુ જ રહ્યો છે. 

તારાપુર તાલુકામાં - 7.68 ઈચ
સોજીત્રા તાલુકામાં -6.88 ઈંચ
ઉમરેઠ તાલુકામાં  - 5.58 ઈંચ
આણંદ તાલુકામાં  - 8.96 ઈંચ
પેટલાદ તાલુકામાં - 6.36 ઈંચ
ખંભાત તાલુકામાં  - 8.92 ઈંચ 
બોરસદ તાલુકામાં -10.72 ઈંચ
આંકલાવ તાલુકામાં- 4.76 ઈંચ
વરસાદ નોંધાયો છે .જિલ્લામાં આજે કુલ186.75 મી .મી અને અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 884.25 મી.મી નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આણંદ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 

આણંદ જિલ્લાના નદી કાંઠા વિસ્તારના ૨૬ જેટલા ગામોને સતકૅ કરાયા

સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોય કડાણા અને પાનમ ડેમમાંથી અંદાજે ૨,૬,૦૦૦ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે વણાકબોરી વિયર પરથી અંદાજે રાત્રે ૧૦ કલાકે આ પાણીનો પ્રવાહ પસાર થવાની શક્યતા છે.જેના પગલે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે આણંદ જિલ્લાના નદી કાંઠા વિસ્તારના બોરસદ તાલુકાના ૦૮, આણંદ ગ્રામ્યના ૦૪, ઉમરેઠ તાલુકાના ૦૨ અને આંકલાવ તાલુકાના ૧૨ સહિત ૨૬ ગામોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. 
બોરસદ તાલુકાના ગામોમાં ગાજણા, સલોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાંડ, દહેવાણ, બદલપુર અને વાલવોડ, આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા આકલાવડી, રાજુપુરા, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા અને ખોરવાડ, આંકલાવ તાલુકાના ચમારા, બામણ ગામ, ઉમેટા, ખડોલ - ઉમેટા, સંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસારમાં, નવાખલ, ભેટાસી વાટા અને ગંભીરા સહિત નિચાણવાળા વિસ્તારના ગામોના લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં આજે તા. ૨૭ ઓગસ્ટના રોજ આંગણવાડી, પ્રાથમિક શાળા, હાઇસ્કુલ અને કોલેજો ખાતે જાહેર રજા રહેશે

આણંદ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે તથા હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહીને પગલે તથા આણંદ જિલ્લામાં અતિભારે વરસાદની સ્થિતિને કારણે આણંદ શહેર અને જિલ્લાની આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કોલેજો ખાતે તા. ૨૭-૦૮-૨૦૨૪ મંગળવાર ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.
આણંદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ ઉપરાંત ખાનગી પ્રાથમિક શાળાઓ અને હાઇસ્કુલો ખાતે પણ જાહેર રજા રહેશે તેમ કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી એ જણાવ્યું છે.

આણંદ ખાતે એસ.ડી.આર.એફ.ની ટીમ સ્ટેન્ડ બાય

આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી એ આણંદ જિલ્લાના ગામો ખાતે નીચાણવાળા વિસ્તારો ખાતે ભારે વરસાદને કારણે કોઈપણ નગરજનોને તકલીફ ઉપસ્થિત થાય તેવા સમયે એસ.ડી.આર.એફ. ની ટીમ ની જરૂરિયાત રહે છે તે ધ્યાને લઈને એસ.ડી.આર.એફ.ની એક ટીમ આણંદ ખાતે બોલાવવામાં આવી છે. ૨૫ સભ્યોની આ ટીમ આણંદ સ્થિત મંગળપુરા હોલ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 

ખંભાત તાલુકામાં ભારે વરસાદ અનેક લોકોનું સ્થળાંતર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી

ખંભાત ખાતે પડી રહેલ ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારના ખંભાતના આંબાખાડ વિસ્તારમાં ૨૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તમામ લોકોને કબીર આશ્રમ, ખંભાત ખાતે જયારે ઉંદેલ ગામે ૧૫ લોકોનું સ્થળાંતર સોનારિયા વિસ્તાર ખાતે થી કર્યું છે,  ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મામલતદાર શ્રી ખંભાત દ્વારા જણાવાયું છે.

આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખંભાત અને બોરસદ તાલુકાના ત્રણ રોડ બંધ કરાયા

ખંભાત ખાતેનો નગરા- મોતીપુરા -રંગપુરા રોડ, બોરસદ -અલારસા -કોસીન્દ્રા -કિંખલોડ રોડ ભારે વરસાદને કારણે હાલ બંધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પામોલ ખડોલ રોડ ઉપર કાંસ છલકાવવાથી વધુ પડતું પાણી રોડ ઉપર આવવાથી અને હાલ વરસાદ ચાલુ હોય હાલ પૂરતો આ રોડ બંધ કરવામાં આવ્યો છે તેમ કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા જણાવાયું છે.

અમેરિકાનો 9/11 જેવો હુમલો રશિયામાં થયો

અમેરિકાનો 9/11 જેવો હુમલો રશિયામાં થયો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, યુક્રેનિયન ડ્રોન સેરાટોવમાં એક બહુમાળી ઇમારતને અથડાયુ છે.આજે યુક્રેને રશિયામાં 38 માળની હાઈરાઈઝ ઈમારત પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. યુક્રેનિયન ડ્રોન સીધું બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું. ડ્રોન ક્રેશ થવાથી ઓછામાં ઓછા 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સેરાટોવ શહેરની સૌથી ઊંચી 38 માળની ઇમારત વોલ્ગા સ્કાયમાં બની હતી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો અનુસાર, એક ડ્રોન ઉડતું જોવા મળી રહ્યું છે, તે સીધું 38 માળની હાઈરાઈઝ ઈમારતમાં ઘુસી ગયું અને આગ લાગી. બિલ્ડિંગના કાચ તૂટવાને કારણે નીચે પાર્ક કરેલા 20થી વધુ વાહનોને પણ નુકસાન થયું હતું.

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી વચ્ચે લદ્દાખને લઈને કેન્દ્રનો મોટો નિર્ણય

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે (25 ઓગસ્ટ) આની જાહેરાત કરી છે.અમિત શાહે કહ્યું કે ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની મંજૂરી આપી છે. સરકારનું કહેવું છે કે પાંચ નવા જિલ્લા બનાવવાનો ઉદ્દેશ્ય સામાન્ય લોકો સુધી સરકારની પહોંચ વધારવાનો અને લદ્દાખના લોકોની નજીક વહીવટી લાભ પહોંચાડવાનો છે.લદ્દાખ માટે જે પાંચ જિલ્લાના નામ જાહેર કરવામાં આવ્યા છે .તેમાં ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ હશે. 

દક્ષિણ ગુજરાતમાં 27મી ઓગસ્ટ સુધી એલર્ટ

હવામાન વિભાગે 27 ઓગસ્ટની સવાર સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને 27 ઓગસ્ટ સુધી અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ગામડાઓને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યના 206માંથી 66 જળાશયોમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે.

જન્માષ્ટમીના લોકમેળામાં વરસાદના પાણી ફરી વળ્યા, સ્ટોલ ધારકોને પડ્યા પર પાટું

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાતમ આઠમ નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એવો રાજકોટના લોકમેળામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને મેઘરાજાએ રાજકોટ વાસીઓની રજાના રંગમાં ભંગ પાડ્યો છે.સાતમ-આઠમ નિમિતે યોજાયેલા સૌરાષ્ટ્ર ,મધ્ય ગુજરાત સહિતના સ્થળે યોજાતા મેળામાં વરસાદની અસર જોવા મળી રહી છે. રાજકોટમાં વરસાદના કારણે મેળા ખાલી પડ્યા છે.વરસાદને કારણે મેળાની બધી રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલ ધારકોને ભારે નુકસાન થવની સંભાવના છે.

નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, 42 ગામ એલર્ટ કરાયા

ગુજરાતમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી 3,68,137 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેને લઈ સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં કુલ 4691.60 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. નર્મદા નદી બે કાંઠે વસતા ભરૂચ, વડોદરા અને નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.