AnandToday
AnandToday
Saturday, 03 Aug 2024 00:00 am
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

ગુજરાતમાં ડિસેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે.

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે. 27% ઓબીસી અનામતની અમલવારી સાથે યોજાનારી આ ચૂંટણી ઐતિહાસિક બની રહેશે. ઓગસ્ટના મધ્ય ભાગમાં આ અંગેના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમાં એક મહિના સુધી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ માટેની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરાશે.રાજ્યની 80 નગરપાલિકા, ખેડા અને બનાસકાંઠા જિલ્લાના 2 જિલ્લા પંચાયતો, 17 તાલુકા પંચાયતો અને 539 નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણીઓ ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે.

ભ્રષ્ટાચારને ડામવા માટે સરકાર એક્શન મોડમાં, લાંચિયા બાબુઓની બેનામી સંપત્તિ જપ્ત કરવા માટે સરકાર બિલ લાવશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 21 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાનાર હોવાથી રાજ્ય સરકાર હવે ભ્રષ્ટ સરકારી અધિકારીઓની બેનામી સંપત્તિ જપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ બિલ લાવશે.સરકારી અધિકારીઓના વધી રહેલા ભ્રષ્ટાચારને ડામવા માટે સરકાર એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને આવા ભ્રષ્ટ અધિકારીઓની બેનામી મિલકત જપ્ત કરવાનો કાયદો ગુજરાતમાં લાગુ કરી શકાય. કાયદાને આખરી ઓપ આપવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

ભાજપના નેતાની જીભ લપસી છે કે પછી જૂની માંગણી પૂર્ણ થવાના એંધાણ આપ્યા

પંચમહાલ જિલ્લાના હાલોલમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયા એ પોતાના વક્તવ્યમાં પંચમહાલની જગ્યાએ પાવાગઢ જિલ્લાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે ચર્ચાએ ભારે જોર પકડયું છે કે ભાજપના નેતાની જીભ લપસી છે કે પછી જૂની માંગણી પૂર્ણ થવાના એંધાણ આપ્યા છે.

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, અનેક ઘાયલ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો

બાંગ્લાદેશમાં શુક્રવારે ફરી વડાપ્રધાન શેખ હસીના અને તેમની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. વાસ્તવમાં આ જુલાઈમાં નોકરીઓમાં અનામતના વિરોધમાં થયેલા હિંસક વિરોધ દરમિયાન અનેક લોકોના મૃત્યુ માટે ન્યાયની માંગ કરવા માટે આ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, સરકારે દેશભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે.

ઈઝરાયેલનો ઈરાન પર વધુ એક હવાઈ હુમલો, એક હમાસના સીનિયર કમાન્ડરનું મોત

શનિવારે એક ઈઝરાયેલી હવાઈ હુમલામાં એક હમાસના સીનિયર કમાન્ડર મોહમ્મદ દિએફનું મોત થયું છે. એના સિવાય હુમલામાં ચાર અન્ય લોકો પણ માર્યા ગયા છે. આ સાથે જ આ હુમલા પર ઈઝરાયેલી સેનાનું નિવેદન પણ સામે આવ્યું છે કે તુલકરમની આસપાસ એક આતંકવાદી સેલ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં  હાઈ-સ્પીડ રોડ કોરિડોર બનશે

કેન્દ્રીય કેબિનેટમાં દેશમાં કુલ આઠ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રની આ જાહેરાતમાં ગુજરાતને પણ મોટી ભેટ મળી છે. ગુજરાતમાં પણ હાઈ-સ્પીડ રોડ કોરિડોર બનશે. ગુજરાતમાંથરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ વચ્ચે નેશનલ હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો - સાધનો ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ ખરીદી માટે કુલ ૬૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, નગરપાલિકાઓ અદ્યતન ફાયર સેફ્ટી સાધનોથી સજ્જ રહે તે જરુરી છે .

વાયનાડ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 358 લોકોના મોત,300 જેટલા લોકો હજુ પણ લાપતા

વાયનાડમાં બચાવ કામગીરીનો આજે ચોથો દિવસ છે. વાયનાડના ચૂરમાલામાં NDRF અને સેનાના જવાનો પણ લોકોને બચાવવામાં વ્યસ્ત છે.અત્યાર સુધીમાં 358 લોકોના મોત થયા છે. 214 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 187 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે ભૂસ્ખલન બાદ 300 જેટલા લોકો હજુ પણ લાપતા છે.

ઈરાન ઈઝરાયલ પર ગમે ત્યારે હુમલો કરે તેવી સ્ફોટક સ્થિતિ

ઈઝરાયલે હમાસ નેતાની ઈરાનમાં ઘૂસીને હત્યા કર્યા બાદ બદલાની આગથી ભભૂકી રહેલું ઈરાન ઈઝરાયલ પર હુમલો કરવા સજ્જ થયું છે. ઈરાનના સર્વોચ્ચ નેતાએ સૈન્યને યુદ્ધ માટે આદેશ જારી કરી દીધાના અહેવાલને પગલે તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે. એર ઇન્ડિયાએ આઠ?ઓગસ્ટ સુધી ઇઝરાયલ માટેની તમામ ઉડાનો સ્થગિત કરી છે અને તેલ અવીવના ભારતીય દૂતાવાસે ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને સતર્ક રહેવા તાકીદ કરી

રક્ષાબંધન ના દિવસે બહેનો સવારના સમયે ભાઈઓને રાખડી બાંધી નહીં શકે, રક્ષાબંધન પર રાખડી બાંધવાનો સમય.. જાણો..

રક્ષાબંધન (પૂર્ણિમાનો દિવસ) ના દિવસે બહેનો સવારના સમયે ભાઈઓને રાખડી બાંધી નહીં શકે કેમ કે આ વર્ષે, ભદ્રાની છાયા 19 ઓગસ્ટના રોજ સવારે 5:53 વાગ્યે (ભદ્રકાળ) શરૂ થશે, જે બપોરે 1:32 સુધી ચાલશે.ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભદ્રાના સમયમાં શુભ કાર્ય ન કરવું જોઈએ.
રક્ષાબંધન પર રાખડી બાંધવાનો સમય :- 
19મી ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1:30 થી 9:08 સુધીનો છે. રક્ષાબંધનના તહેવારના દિવસે બહેનોને તેમના ભાઈને રાખડી બાંધવા માટે 7 કલાક 38 મિનિટનો સમય મળશે .