કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ થયેલ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 93 લોકોના મોત થયા છે.બચાવ કામગીરીમાં ઇન્ડિયન નેવીના જવાનો જોડાયા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હાલ 116 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 400 થી વધુ લોકો લાપત્તા છે. કેરળમાં સત્તાવાર શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે અને કાલે શોક રહેશે. રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે. રાજ્ય સરકારના સત્તાવાર કાર્યક્રમો અને કામો આજે અને આવતીકાલે મોકૂફ રાખવામાં આવ્યા છે PM મોદી સહિતના નેતાઓ એ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.કેન્દ્ર સરકારે વળતરની જાહેરાત કરી છે.
લોકસભાની ચૂંટણીમાં EVMમાં પડેલાં મતો અને મત ગણતરી વખતના આંકડામાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે, આખાય દેશમાં બધીય બેઠકો પર કૂલ મળીને પાંચ કરોડ મતોના ફેરફાર જોવા મળતાં એક નવો વિવાદ ઉભો થયો છે.ગુજરાતમાં 24 બેઠકો પર કૂલ મળીને 15,521 મતોનો તફાવત જોવા મળ્યો છે. મુખ્યત્વે ભાવનગરમાં 2096, ખેડામાં 2222, પાટણમાં 1577, બારડોલીમાં 3197 અને આણંદમાં 1337 મતોનો ફરક જોવા મળ્યો છે. જોકે, મતમાં ફેરફાર એ પરિણામ બદલવા માટે જવાબદાર ન હોય પણ ચૂંટણીપંચની વિશ્વસનિયતા સામે આંગળી ચિંધાઇ છે
સોમનાથ : કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આજથી બે વર્ષ પહેલા 12.06.2022 નાં રોજ આઠ વર્ષની સગીર બાળા ઉપર જંતરાખડી જ ગામના શમાજી ભીખા સોલંકી દુષ્કર્મ આચરી તેની હત્યા કર્યાના ઘટનામાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોડીનાર એડિશનલ સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ એસ.આઇ.ભોરાણીયાએ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ સમાજમાં આવા બનાવો બનતા અટકે તે માટેની નોંધ લઈને આરોપીને ફાંસીની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે.તેમજ ભોગ બનનાર સગીરાના પરિવારને સરકારની યોજના હેઠળ સરકાર દ્વારા રૂપિયા ૧૭ લાખ ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.
ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભામાં પોતાના મુખ્ય દંડક અને 16 દંડકોની નિમણૂક કરી છે, જેમાં ગુજરાતના બે સાંસદોનો સમાવેશ થાય છે.ગુજરાતના ધવલ પટેલ (વલસાડ) અને દેવુસિંહ ચૌહાણને ભાજપના લોકસભા દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લોકસભામાં કુલ 16 નવા દંડકોમાંથી બે ગુજરાતના પ્રતિનિધિઓ છે. જ્યારે લોક્સામાના મુખ્ય દંડક - ડૉ. સંજય જૈસવાલ ને બનાવાયા છે.
સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન, પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદોએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન, વિકસિત ભારત માટે વિકસિત બંગાળની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ બંગાળના બીજેપી સાંસદોને કહ્યું કે બંગાળની જનતાને આશ્વાસન આપવું જરૂરી છે કે માત્ર ભાજપ જ તેમનો વિકાસ કરી શકે છે. સાથે જ કહ્યું કે અમે જલ્દી જ બંગાળની સત્તામાં આવીશું. પીએમ મોદીને મળવા પશ્ચિમ બંગાળથી આવતા લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોના ભાજપના સાંસદો હાજર રહ્યા હતા.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સવારે 7:30 વાગ્યે સીએનજી સ્ટેશન ઉપર સપ્લાય કરતી સીએનજી ગેસ ભરેલી ગાડી પસાર થઈ રહી હતી. આ સમયે સીએનજી ગાડીની પાઈપ ફાટી જતાં ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ડ્રાઈવરે ગેસ લીકેજ થવાનો મોટો અવાજ સાંભળીને તુરંત જ ગાડી અટકાવી દીધી હતી. વડીવાડી ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો. જોકે, કોઈ જાનહાનિ થઈ નહોતી.
જાણીતા અધ્યાત્મિક ગુરૂ મોરારીબાપૂએ ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સના મુખ્યાલયમાં તેમની નવ-દિવસીય રામકથાનો શુભારંભ કર્યો છે. યુનાઇટેડ નેશન્સમાં કોઇ આધ્યાત્મિક ગુરુ એ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું હોય તેવી પ્રથમ ઘટના છે, જે તેના વૈશ્ર્વિક મહત્વને દર્શાવે છે. કથાના પ્રથમ દિવસે મોરારી બાપૂએ ગોસ્વામી તુલસીદાસના રામચરિત માનસની બે કેન્દ્રિય પંક્તિઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં હતાં
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે લવ જેહાદ (સુધારા) બિલ 2024 પસાર કરવામાં આવ્યું હતું. આમાં, જ્યારે પહેલાથી નિર્ધારિત ગુનાઓની સજા બમણી કરવામાં આવી છે, ત્યારે નવા ગુનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આજીવન કેદની જોગવાઈ છે. આ કાયદા હેઠળ ધર્મ પરિવર્તન માટે ભંડોળ પણ અપરાધના દાયરામાં લાવવામાં આવ્યું છે.
NEET-UG પરીક્ષામાં ગેરરીતિ કેસમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવ્યાના એક મહિના બાદ ગોધરાના જય જલારામ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન દીક્ષિત પટેલે અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હોવાના અહેવાલ મળ્યા છે .
ભારતીય યુવા શૂટર મનુ ભાકરે 30 જુલાઈએ ભારતના ઓલિમ્પિક ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો. મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ બાદ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય બની છે.