AnandToday
AnandToday
Tuesday, 21 Feb 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પંજીકરણ કરાયેલી ગાયની નવી પ્રજાતિડગરીને રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યુરો (NBAGR) દ્વારા પ્રમાણપત્ર અપાયું

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કૃષિ યુનિવર્સિટીની સરાહના કરી કુલપતિશ્રીને અભિનંદન પાઠવ્યા

ગાયની નવી ઓલાદ “ડગરી”ને NBAGR) દ્વારા માન્યતા મળતા તેની જાળવણી કરવી પણ ખૂબ જ જરૂરી છે: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

નવી દિલ્હી
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર, નવી દિલ્હી ખાતે તાજેતરમાં જ પશુઓની જાતિ નોંધણી માટે પ્રમાણપત્ર એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પંજીકરણ કરવામાં આવેલી ગાયની નવી પ્રજાતિ “ડગરી” માટે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયાને  રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો(NBAGR)-કરનાલ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાતા રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે યુનિવર્સિટીના કુલપતિશ્રી, અધિકારીશ્રીઓ, વૈજ્ઞાનિકો અને કર્મચારીઓની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગાયની નવી ઓલાદને માન્યતા મળવાથી હવે તેની જાળવણી કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. આ માટે નવું ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ધણ (નર અને માદા પશુઓ) ઊભું કરીને તેમાંથી ગાયો તેમજ સાંઢને કૃત્રિમ વીર્યદાન અથવા કુદરતી રીતે સંવર્ધનમાં ઉપયોગ કરી શકાય. જેથી ભવિષ્યમાં ડગરી ગાયની ઓલાદમાં સુધારો થવાથી દૂધ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો થઈ શકે અને સારી ગુણવત્તાવાળા બળદો તેમજ સાંઢ પણ મળી શકે. તેમણે ઉમેર્યું હતું કે, ખાસ કરીને આ ઓલાદ ધરાવતા વિસ્તારમાં બીજી ઓલાદના સાંઢ સાથે સંવર્ધન અથવા કૃત્રિમ વીર્યદાન ન કરવામાં આવે તેવી વ્યવસ્થા ભવિષ્યમાં સત્વરે ગોઠવવી ખાસ જરૂરી બની જાય છે. જેથી ગાયની નવી “ડગરી” ઓલાદની જાળવણી તેની જનીનીક શુધ્ધતા જળવાઈ રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમારોહમાં દેશના ૧૭ રાજ્યોમાંથી વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨માં નોંધાયેલ નવી પશુધન જાતિના અરજદારોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. જેમાં ગાયની ૧૦, ભેંસની ૦૪, બકરીની ૦૩, ભૂંડની ૦૫ તેમજ ઘેટાં, ગધેડા અને બતકની એક-એક ઓલાદનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
-------------------