ભારતને તા. ૧ ડિસેમ્બર,૨૦૨૨ થી ૩૦ નવેમ્બર-૨૦૨૩ સુધી G-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના છે. વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. ભારત વિશ્વની પ્રમુખ સમસ્યાઓના વ્યવહારૂ ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. આ અભિગમમાં જ 'વસુધૈવ કુટુંબકમ'- સમગ્ર વિશ્વ જ એક પરિવાર છે’ એવી ભાવના મૂર્તિમંત થાય છે.
તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ ભારતે ઈન્ડોનેશિયા પાસેથી G-૨૦ નું પ્રમુખપદ સંભાળ્યું અને ૨૦૨૩માં દેશમાં પ્રથમ વખત G-૨૦ નેતાઓની સમિટની યજમાની કરી રહ્યું છે. દર વર્ષે સભ્ય દેશો ક્રમશ: અધ્યક્ષપદ સંભાળે છે. ભારત માટે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના અવસરે G-૨૦ અધ્યક્ષપદ "અમૃત કાળ"ની શરૂઆત પણ કરે છે, જે ૨૦૨૨માં દેશની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠથી શરૂ થતા ૨૫ વર્ષનો સમયગાળો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના મત મુજબ ભારતની G-૨૦ અધ્યક્ષતા એકતાની વૈશ્વિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. તેથી જ અમારી થીમ 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય' છે એમ તેઓ સ્પષ્ટપણે માને છે.
અધ્યક્ષપદે આરૂઢ થવાથી ભારતને કેટલીક ખાસ સત્તાઓ પણ આપોઆપ મળી છે. જેમાં G૨૦ના સભ્ય ન હોય એવા દેશોને પણ બેઠકોમાં ભાગ લેવા માટે ભારત આમંત્રિત કરી શકે છે. આ એક નાના પગલાથી પણ મિત્રદેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવી શકાય છે. એટલે જ ભારતે યુ.એ.ઈ.(સંયુક્ત આરબ અમીરાત), બાંગ્લાદેશ, ઈજીપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડસ, નાઈજીરિયા, ઓમાન, સિંગાપોર અને સ્પેનને G૨૦માં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.
ભારતના અધ્યક્ષપદે ૧ વર્ષ દરમિયાન ૩૨ ક્ષેત્રો અને વિષયો અંતર્ગત ૨૦૦ બેઠકો યોજાઈ રહી છે. સ્ટાર્ટઅપ ૨૦ એંગેજમેન્ટ ગ્રુપ પ્રથમ વખત ભારતના G૨૦ પ્રેસિડેન્સી હેઠળ સ્થાપિત કરવામાં આવશે, જે ઝડપથી બદલાતા વૈશ્વિક લેન્ડસ્કેપમાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકાને ઉજાગર કરે છે.
G-૨૦ અથવા ગ્રુપ ઓફ ટ્વેન્ટી એ વિશ્વના ૧૯ દેશો અને યુરોપિયન યુનિયનનો સમાવેશ કરતું આંતર-સરકારી મંચ છે. જે દુનિયાની ૬૦ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ૨૦ દેશો દુનિયાના ૭૫ ટકા વૈશ્વિક વ્યાપાર અને ૮૫ ટકા જી.ડી.પી. પર પ્રભુત્વ ધરાવે છે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા, ક્લાઈમેટ ચેન્જ(આબોહવા પરિવર્તન) અને તેનું નિરાકરણ, ટકાઉ વિકાસ જેવા મુદ્દે સભ્ય દેશો સાથે મળીને એક થઈને કામ કરે છે. આ ગ્રુપના એજન્ડા ચલાવવાનું કાર્ય પૂર્વ, વર્તમાન અને ભાવિ અધ્યક્ષો એમ ત્રણ દેશો સંભાળે છે, આ વર્ષે પૂર્વ અધ્યક્ષ (ઈન્ડોનેશિયા), વર્તમાન અધ્યક્ષ (ભારત) અને ભાવિ અધ્યક્ષ (બ્રાઝિલ) એજન્ડા ચલાવશે. ગ્રૂપ ઓફ ટ્વેન્ટી (G-૨૦) એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે.
G-૨૦ના સભ્ય દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કીયે, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. ૨૦ દેશોનો આ સમૂહ વિશ્વના કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના લગભગ ૭૫ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ ૨૦૨૧માં, જૂથ સંમત થયું કે ગ્લોબલ વોર્મિંગને પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી ૧.૫°C સુધી મર્યાદિત કરાશે.
G-૨૦ ના મુખ્ય ઉદ્દેશો આ મુજબ છે; (૧) વૈશ્વિક આર્થિક સ્થિરતા, સતત અને ટકાઉ વિકાસ હાંસલ કરવા તેના સભ્યો વચ્ચે નીતિગત સંકલન; (૨) નાણાકીય નિયમોને પ્રોત્સાહન આપવું જે જોખમ ઘટાડે છે અને ભવિષ્યની નાણાકીય કટોકટી અટકાવે છે; અને (૩) આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખાનું આધુનિકીકરણ.
સામૂહિક કાર્યને પ્રોત્સાહિત કરવા, બહુવિષયક સંશોધન કરવા અને આપત્તિઓનું જોખમ ઘટાડવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવા માટે G-૨૦ દ્વારા ભારતની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પર એક નવું વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવશે.
'વસુધૈવ કુટુંબકમ' ‘એક પૃથ્વી, એક કુટુંબ એક ભવિષ્ય’- થીમનું સૂત્ર મહા ઉપનિષદના પ્રાચીન સંસ્કૃત પાઠમાંથી લેવામાં આવ્યું છે. આ થીમ જીવનના તમામ મૂલ્યોની પુષ્ટિ કરે છે. 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના પૃથ્વી પર અને વિશાળ બ્રહ્માંડમાં મનુષ્યો, પ્રાણીઓ, છોડ, વૃક્ષો અને સૂક્ષ્મ જીવો અને તેમના આંતરસંબંધોનું વર્ણન કરે છે. આ થીમ વ્યક્તિગત અને પર્યાવરણ માટેની જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે.
G-૨૦ લોગો ભારતના રાષ્ટ્રધ્વજના વાઈબ્રન્ટ રંગો- કેસરી, સફેદ અને લીલા રંગથી પ્રેરિત છે. તે પૃથ્વી ગ્રહને કમળ સાથે સાંકળે છે. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ પડકારો વચ્ચે વૃદ્ધિનું પ્રતિક છે. G૨૦ લોગોની નીચે દેવનાગરી લિપિમાં લખાયેલ ‘ભારત’ લખવામાં આવ્યું છે. જે આપણી વૈદિક સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે.
થિંક-૨૦ એ G૨૦ જૂથોમાંનું એક આગવું જૂથ છે, જે ૨૦૧૨ માં મેક્સિકન પ્રેસિડેન્સી દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે G-૨૦ માટે એક આઈડિયા બેંક તરીકે કામ કરે છે અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે નીતિઓ ઘડવા માટે ઠોસ ભલામણો કરે છે.
ગુજરાત G-૨૦ની શ્રેણીબદ્ધ વિચાર-વિમર્શ બેઠકોનું આયોજન પણ કરશે. ગુજરાતમાં યોજાનાર ૧૫ કાર્યક્રમો પૈકી ગત જાન્યુઆરી માસમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G-20 ની સૌ પ્રથમ B-૨૦ ઈનસેપ્શન મીટિંગ યોજાઈ હતી.